સુરત શહેરમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એક જાણીતા કથાકારની 17 વર્ષીય પુત્રીએ પરીક્ષાના તણાવમાં આવીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને કથાકારના અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સુરતના ખટોદરા પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારમાં આ કરુણ ઘટના બની છે. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય કિશોરીએ પોતાના જ ઘરના રસોડામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે સમયે દીકરીએ આ અંતિમ પગલું ભર્યું, તે સમયે તેના પિતા કથાના કાર્યક્રમમાં વ્યસ્ત હતા. ઘરે પરત ફરતા પરિવારને દીકરીની આ હાલત જોતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પ્રાથમિક વિગતો મુજબ, મૃતક કિશોરી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. બોર્ડની આગામી પરીક્ષાઓને લઈને તે છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હોવાનું જાણવા મળ્યું છે. પરીક્ષામાં કેવું પરિણામ આવશે અને અભ્યાસના ભારણને તે સહન ન કરી શકતા આ આત્મઘાતી પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.
ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કથાકાર પિતા જેઓ બીજાને જીવન જીવવાનો માર્ગ બતાવે છે, તેમની જ વહાલસોયી દીકરીના આવા અંતથી પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે.


