સુરત જીલ્લાના ઓલપાડ જીન કેમ્પસમાં કાર્યરત ધી ઓલપાડ ગૃપ કોટન સેલ સોસાયટીમાં સને:૨૦૨૫-૨૦૩૦ ના વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.જે ચૂંટણીમાં જિલ્લાના સહકારી,શૈક્ષણિક, સામાજીક અને રાજકીય અગ્રણી મનહરભાઈ ખુશાલભાઈ પટેલ (કદરામા)સતત સાતમી વખત સર્વ સંમતિથી બિનહરીફ ચૂંટાઈ આવતાં તેમના શુભેચ્છકોએ અભિનંદન વર્ષા પાઠવી છે.
શુક્રવાર,તા.૧૩ ના રોજ ઘી ઓલપાડ કોટન મંડળીની ચૂંટાયેલ નવનિયુક્ત બોર્ડની પહેલી મિટીંગ મંડળીના સિનિયર કમિટી સભ્ય જગજીવનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.આ મિટીંગમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા પ્રવાસીઓના આત્માને શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.ત્યારબાદ આગામી પાંચ વર્ષ સુધી મંડળીના વહીવટ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના એજન્ડાનું કામ હાથ ધરાયું હતું. જેમાં પ્રમુખ તરીકે મંડળીનું સુકાન સંભાળી રહેલા મનહરભાઈ કે.પટેલ ના નામની દરખાસ્ત સરસાણાના કમિટી સભ્ય ભાવિન પટેલે મુકી હતી.જેને સરસના કમિટી સભ્ય ઈશ્વરભાઈ પટેલે ટેકો આપ્યો હતો. જો કે આ મિટિંગમાં બોર્ડના સભ્યોએ પ્રમુખપદ માટે બીજી કોઈ દરખાસ્ત રજુ કરવાના બદલે તમામ કમિટી સભ્યોએ ટેકો જાહેર કરતાં મનહરભાઈ પટેલ સર્વ સંમતિથી પ્રમુખપદે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતાં.
જયારે મંડળીના ઉપપ્રમુખ પદ માટે જીણોદના રમેશભાઈ પટેલના નામની દરખાસ્ત સામે મિરજાપોરના હિતેશ પટેલના નામની બીજી દરખાસ્ત રજુ થઈ હતી.જેથી મંડળીના પ્રમુખ મનહરભાઈ પટેલે સમાધાનની ફોર્મ્યુલા રજુ કરી હતી. પરંતુ તેઓએ ગ્રાહ્ય ન રાખી ભારે ખેંચતાણ કરતા આખરે ઉપપ્રમુખ પદ માટે ૨૧ બોર્ડના સભ્યોને બંન્ને ઉમેદવારો માટે મતદાન કરવાની નોબત આવી હતી.જેથી ઉપપ્રમુખ ની યોજાયેલી ચૂંટણીના મતદાન પ્રક્રિયામાં રમેશભાઈ પટેલને ૧૮ મત અને હિતેશ પટેલને માત્ર ૩ મત મળતા જીણોદ ગામના રમેશભાઈ પટેલને ઉપપ્રમુખ તરીકે ૧૫ મતથી વિજેતા જાહેર કરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે,મંડળીમાં બિનહરીફ ચૂંટાયેલા પ્રમુખ મનહરભાઈ પટેલ હાલમાં સુરત શહેરમાં જહાંગીરપુરા સ્થિત ધી પુરૂષોત્તમ ફાર્મર્સના પ્રમુખ તરીકે ૨૦૨૩ થી સેવા આપી રહ્યા છે.આ ઉપરાંત તેઓ ઘી કોટન એસોસિયેશન ઓફ મુંબઈના ડાયરેક્ટર,ધી ગુજરાત સ્ટેટ કો.ઓ.ગેઈન ગ્રોઅર્સ ફેડરેશન અમદાવાદના ડાયરેક્ટર,ઓલપાડ કોલેજના ખજાનચી તથા ઈફકોના આર.જી.બી.તરીકે વર્ષોથી સેવા આપી રહ્યા છે.આ ઉપરાંત તેઓ ઓલપાડ ભાજપ સંગઠનના માજી મહામંત્રી તરીકે પણ સેવા આપી ચૂકેલ હોવાથી રાજકીય ક્ષેત્રે પણ મજબુત પકડ ધરાવે છે.જયારે તેમની પ્રમુખ પદે પુનઃનિમણુંક થતાં પ્રતિભાવ આપતા કહ્યું કે,હું વર્ષોથી સહકારી માળખાં સાથે જોડાયેલો હોવાથી સભાસદોનું હિત જાળવી આ મંડળીના વિકાસ માટે બોર્ડના બધા સભ્યોને સાથે રાખી વહીવટ કરવાની ખાત્રી આપું છું.