સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે એવી ઘટના સામે આવી છે. જે સુરક્ષાના કાયદા સામે સવાલ ઉભા કરે છે. રાજ્યની પોલીસના ‘સબ સલામત’ના દાવાઓ પોકળ સાબિત કરે છે. પલસાણાના વાંકાનેડા ગામે પાંચ વર્ષની બાળા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ બાળકી નરાધમને તાબે ન થતા તેની પથ્થર મારીને હત્યા કરાઇ હતી. પોલીસે હત્યારાને ઝડપી લીધો છે. અને કડકમાં કડક સજા આપવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.
રાજ્ય ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરત શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે, અહીં ગુનાઓનો ગ્રાફ વધી રહ્યો છે. પોલીસની કોઇને બીક જ ન હોય તેમ બેફામ ગુનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં એક માસૂમ બાળાની હત્યા કરવામાં આવી હતી. સુરત જિલ્લામાં પરપ્રાંતિય વિસ્તાર પલસાણા તાલુકો ગણાય છે. જ્યાં ગુનેગારો પર હંમેશા વામણી પુરવાર થતી કડોદરા પોલીસની ધાક નહીં રહી હોય તેમ લાગી રહ્યું છે. દિન પ્રતિદિન લૂંટ હત્યા બાદ હવે બાળકીઓને હવાસખોરો હવે નિશાન બનાવી રહ્યા છે. પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે ખેતરમાંથી આંબાના ઝાડ નીચેથી પાંચ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીને મોઢા ઉપર પથ્થર મારી હત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યુ છે.
વાંકાનેડા ગામે રાધા રાણી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની એક ફેક્ટરીમાં કામ કરતા શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકી બે દિવસ અગાઉ ગુમ થઈ હતી. જે અંગે બાળકીની માતાએ તપાસ કરતા તેઓની બાજુમાં જ રહેતો ગણપતલાલ ચંદ્રપ્રકાશ બાળકીને લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પરિવારે કડોદરા પોલીસને જાણ કરી હતી. કડોદરા પોલીસે તાત્કાલિક ગણપતલાલ ચંદ્રપ્રકાશની શોધખોળ કરતા તેને ઝડપી લીધો હતો. અને બાળકીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે નરાધમને સાથે રાખી તપાસ કરતા વાંકાનેડા ગામે એક ખેતરમાં બાળકીને નાખી દીધો હોવાનું જણાવ્યું હતું. બાકી તાબે ના થતા હત્યા કરી હોવાની આશંકા ઊભી થઈ હતી. ઘટના દિવસે શેરડીના ખેતરના શેઢા પર આંબાના ઝાડ નીચે નરાધમ બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરતો હતો. જોકે બાળકે બૂમાબૂમ કરતા તેની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે હાલ બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે અને આ અંગે આગળની તજવીજ હાથ ધરી છે.