સુરત જ નહી પરંતુ દક્ષિણ ગુજરાતના લોકો માટે પ્રાણી-પક્ષીઓ અને પર્યાવરણની માહિતી સાથે મનોરંજન પીરસતું પાલિકાનું નેચર પાર્ક સુરતીઓ માટે વેકેશન દરમિયાન ફેવરિટ બની ગયું છે. દર વર્ષે સરેરાશ દસ લાખ લોકો આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે છે હાલ આકરી ગરમી અને વરસાદી માહોલ છે અને આ વિષમ વાતાવરણમાં પણ નેચર પાર્ક હાઉસફુલ થઈ રહ્યું છે. હાલ ચાલી રહેલા વેકેશન દરમિયાન 5 મે થી 25 મેના 20 દિવસ દરમિયાન નેચર પાર્કમાં 77,853 મુલાકાતે આવ્યા પાલિકાને 21.26 લાખની આવક થઈ છે.
સુરતના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લુપ્ત થતા પશુ પક્ષી નિહાળવા મળે તે માટે સરથાણા ખાતે નેચર પાર્ક બનાવવામા આવ્યું છે. સુરત મહાનગ૨પાલિકાના ડૉ.શ્યામાપ્રસાદ મુર્ખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, બનાવવામાં આવ્યો છે. આ નેચર પાર્કમાં 24 પ્રજાતિના 128 પ્રાણીઓ, 27 પ્રજાતિના 294 પક્ષીઓ અને 5 પ્રજાતિના 61 રેપટાઈલને નિહાળવા માટે સુરત જ નહી પરંતુ આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં મુલાકાત લઈ રહ્યા છે. વેકેશન દરમિયાન તો સુરતીઓ મોટી સંખ્યામાં મુલાકાતે આવે છે પરંતુ સામાન્ય દિવસોમાં સુરતથી માંડીને વાપી સુધીની શાળાના વિદ્યાર્થીઓ પણ મુલાકાત લે છે.
સુરતમાં હાલ આગ ઝરતી ગરમી પડી રહી છે તેની સાથે વરસાદી વાતાવરણ હોવાથી બફારો પણ છે તેમ છતાં હરવા ફરવાના શોખીન સુરતીઓ આકરી ગરમીમાં પણ બાળકો સાથે સુરત પાલિકાના મનોરંજનના સ્થળે પહોંચી રહ્યાં છે. આ વર્ષે તો મે મહિનાનું વેકેશન પડ્યું છે તેમાં 5 મે થી 25 મેના દરમિયાન નેચર પાર્ક માં 77,853 મુલાકાતે આવ્યા પાલિકાને 21.26 લાખની આવક થઈ છે.
સુરતીઓ માટે નેચર પાર્ક સાથે પાલ ખાતે આવેલું એક્વેરિયમ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે પરંતુ આ વર્ષે સુરતીઓને એક્વેરિયમનો લાભ મળી શક્યો નથી. એક્વેરિયમનું બાંધકામ નબળું પડતા પાલિકાએ 28 માર્ચથી એક્વેરિયમ બંધ કર્યું છે તેનું રીપેરીંગ હજી શરૂ થઈ શક્યું તેથી એક્વિરમયની મુલાકાત ઈચ્છતા સુરતીઓ નિરાશ થયાં છે.