સુરત શહેરમાં આવેલા પર્વત પાટિયા વિસ્તારમાં રાજ ટેક્સટાઈલ માર્કેટમાં 11 કલાક બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો છે. રાજ ટેક્સટાઈલ માર્કેટમાં સાતમા માળે લાગ્યા બાદ વિકરાળ બનેલી આગ નીચેના ફ્લોર સુધી પહોંચી ગઈ હતી. જેથી 2 હાઈડ્રોલિક મશીન મારફતે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ભીષણ આગ ઓલવવા માટે અત્યાર સુધી કુલ 20 લાખ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ આગ કાબૂમાં આવ્યા બાદ વેપારીઓની માંગને જોતા તેઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. ફક્ત દુકાનની અંદરનો કિંમતી સમાન લેવા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો. રાજ ટેક્સટાઈલ માર્કેટમાં કુલ પાંચ-પાંચ વેપારીઓને અંદર પ્રવેશ અપાયો હતો. વેપારીઓને માર્કેટમાં પ્રવેશ આપતા હાશકારો થયો હતો. જો કે, આ ઈમારતમાં હાલ કોઈપણ વેપારી કે અન્ય વ્યક્તિને પ્રવેશ પ્રતિબંધ છે.

સુરતના મેયર દક્ષેશ માવાણી સ્થળ પર, ફાયર અધિકારીઓ પાસેથી મેળવી માહિતી
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગની ઘટનાની ગંભીરતાને જોતાં, શહેરના મેયર દક્ષેશ માવાણી તાત્કાલિક બનાવ સ્થળે પહોંચ્યા હતા. મેયર દક્ષેશ માવાણીએ સ્થળની મુલાકાત લીધી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ફાયર અધિકારીઓ પાસેથી આગની સ્થિતિ, કાબૂ મેળવવા માટે ચાલી રહેલા પ્રયાસો અને નુકસાન અંગેની વિગતવાર માહિતી મેળવી હતી.


