સુરત શહેરમાં એલપીજી ગેસની અછતની સ્થિતિ સર્જાતા નાગરિકો અને ગેસ એજન્સીઓ બંને ચિંતામાં મુકાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ગેસના પુરવઠામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે.
સુરત શહેરમાં એલપીજી ગેસની અછતની સ્થિતિ સર્જાતા નાગરિકો અને ગેસ એજન્સીઓ બંને ચિંતામાં મુકાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ગેસના પુરવઠામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે.અગાઉ રોજિંદા પુરવઠા માટે એક કંપનીમાં અંદાજે 125 જેટલા ટ્રક ગેસના આવતા હતા, પરંતુ હાલ આ સંખ્યા ઘટીને માત્ર 50 થી 60 ટ્રક સુધી પહોંચી ગઈ છે.
માહિતી મુજબ વિદેશમાંથી આવતા ગેસના પુરવઠામાં ઘટાડો થવાના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. સુરત નજીક આવેલા હજીરા વિસ્તારમાં ત્રણ મોટી ગેસ કંપનીઓ કાર્યરત છે, જ્યાંથી શહેર અને આસપાસના વિસ્તારોમાં એલપીજી ગેસનો પુરવઠો આપવામાં આવે છે. પરંતુ હાલ પુરવઠામાં ઘટાડો થતા ગેસ એજન્સીઓએ વિતરણ પર નિયંત્રણ લાવવાનો નિર્ણય લીધો છે.

ગેસ એજન્સીઓ દ્વારા ગ્રાહકોને ગેસનો પુરવઠો નિયમિત અને યોગ્ય રીતે મળે તે માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં બુકિંગ પછી સિલિન્ડર મળવામાં થોડો વિલંબ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગેસ એજન્સીઓએ ગ્રાહકોને અનાવશ્યક સ્ટોક ન રાખવાની અપીલ કરી છે. સાથે જ પુરવઠાની સ્થિતિ સુધરે ત્યાં સુધી સિલિન્ડરનું વિતરણ વ્યવસ્થિત રીતે કરવામાં આવશે.
સ્થાનિક સ્તરે પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જો ગેસનો પુરવઠો ફરી સામાન્ય બનશે તો આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. હાલમાં સુરત શહેરમાં ગેસ એજન્સીઓ પુરવઠાને નિયંત્રિત કરીને ગ્રાહકોને મુશ્કેલી ઓછી થાય તે માટે પ્રયત્ન કરી રહી છે.


