ઉત્તર પ્રદેશના લખનૌના ગોસાઈગંજમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં લુધિયાણાથી દરભંગા જઈ રહેલી એક સ્લીપર બસ પલટી જતાં 7 મુસાફરોનાં કમકમાટીભર્યા મોત થયા છે અને 40 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
સોમવારે સાંજે લગભગ 4:30 વાગ્યે જૌખંડી ગામ પાસે પૂરઝડપે આવી રહેલી બસ અચાનક અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ ગોસાઈગંજ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત પાછળનું મુખ્ય કારણ બસની ઝડપી ગતિ અને ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવી ગયું હોવાનું માનવામાં આવે છે. બસ લુધિયાણાથી બિહારના દરભંગા તરફ જઈ રહી હતી ત્યારે ખેમા ખેડા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે એમ્બ્યુલન્સની મદદથી તમામ 40 ઈજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં ખસેડ્યા છે, જ્યાં અનેક મુસાફરોની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.


