પાકિસ્તાન માટે જાસૂસી કરનાર જૂથનો પર્દાફાશ કરાયો છે. ગાઝિયાબાદ પોલીસે નૌશાદ અલીની ફરીદાબાદથી ધરપકડ કરી છે. તે પંચરની દુકાનની આડમાં જાસૂસી કરી રહ્યો હતો. આ સમૂહના પ્રમુખ સુહેલ સહિત 22 આરોપીઓની ધરપકડ કરાઇ હતી. પોલીસે તમામ વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે. આ ગેંગ રેલવે સ્ટેશનો અને સુરક્ષા સ્થળોની ફોટો અને વીડિયો પાકિસ્તાન મોકલતા હતા.
દિલ્હી-હરિયાણામાં લગાવેલા કેમેરાની લાઇવ સ્ટ્રીમિંગ પણ પાકિસ્તાન સુધી પહોંચતી હતી. આ ઉપરાંત 50 સોલર કેમેરા લગાવવાની પણ યોજના હતી. જેમાંથી અમુક કેમેરા જપ્ત કરીને તેની તપાસ શરુ કરાઇ છે. આ જાસૂસી મામલામાં પોલીસે નૌશાદ સિવાય મથુરા નિવાસી મહિલા અને એક સગીરની પણ અટકાયત કરી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કહ્યુ હતુ કે, તેઓને સુહેલે આ નેટવર્કમાં સામેલ કર્યા હતા.

તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ રેલ્વે સ્ટેશનો અને સુરક્ષા દળોના ઠેકાણાઓના ફોટા અને વીડિયો લઈને વોટ્સએપ ગ્રુપ દ્વારા પાકિસ્તાન મોકલતી હતી. બદલામાં, તેમને દરેક ફોટો માટે 4,000 થી 6,000 રૂપિયા મળતા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ ગેંગે દિલ્હી અને હરિયાણાના ઘણા રેલ્વે સ્ટેશનો પર કેમેરા લગાવ્યા હતા. પાકિસ્તાનમાં લોકો આ કેમેરામાંથી લાઈવ સ્ટ્રીમિંગની સુવિધા મેળવી શકતા હતા, જે આ સંવેદનશીલ સ્થળો પર સીધી નજર રાખતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ દેશભરમાં આશરે 50 સોલાર કેમેરા લગાવવાની યોજના પર કામ કરી રહી હતી, અને કેટલાક સ્થળોએ કેમેરા લગાવી દેવામાં આવ્યા હતા. દિલ્હી અને સોનીપતમાં લગાવવામાં આવેલા કેમેરા મળી આવ્યા છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે. તપાસ દરમિયાન, એવું પણ બહાર આવ્યું છે કે નૌશાદ મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી છે અને તેને કોલકાતાથી ફરીદાબાદમાં આ દુકાન ખોલવા માટે લાવવામાં આવ્યો હતો.


