વડનગર જેતરમાં યોજાયેલી જિલ્લા સ્વાસ્થ્ય પરિષદમાં વડનગર તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલે એક અત્યંત ચોંકાવનારું અને ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં, ખાસ કરીને શ્રમિક વર્ગની ગર્ભવતી મહિલાઓમાં તમાકુ, મસાલા અને શેકેલી માટી ખાવાનું વ્યસન ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
ભારતીબેન પટેલના જણાવ્યા અનુસાર, સુંઢિયા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સગર્ભા મહિલાઓ દ્વારા કરવામાં આવતું આ વ્યસન સીધી રીતે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે. આ કુટેવોને કારણે મહિલાઓમાં હિમોગ્લોબિનનું સ્તર સતત ઘટી રહ્યું છે. લોહીની ઉણપને કારણે ગર્ભમાં રહેલા બાળકના વિકાસ પર વિપરીત અસર પડે છે અને જન્મજાત ખામીઓનું જોખમ વધી જાય છે.

આ ગંભીર પરિસ્થિતિને જોતા, તેમણે આરોગ્ય વિભાગ અને આશાવર્કર બહેનોને ખાસ અપીલ કરી છે. તેમણે સૂચવ્યું કે, વર્કર બહેનોએ ગ્રામીણ સ્તરે સગર્ભા મહિલાઓને પ્રેમથી સમજાવીને આ ઘાતક વ્યસનોમાંથી મુક્ત કરવી જોઈએ. રોગ્ય ટીમોએ સગર્ભાઓના ડાયેટ અને આરોગ્યની સતત દેખરેખ રાખવી જોઈએ જેથી કુપોષણ અને એનિમિયા (લોહીની ઉણપ) જેવી સમસ્યાઓ નિવારી શકાય.
ગર્ભવતી મહિલાઓમાં જોવા મળતી આ પ્રથા માત્ર અજ્ઞાનતા નહીં પરંતુ સામાજિક સ્વાસ્થ્ય માટે લાલબત્તી સમાન છે. જો સમયસર જાગૃતિ ફેલાવવામાં નહીં આવે, તો આવનારી પેઢી શારીરિક અને માનસિક રીતે નબળી જન્મી શકે છે. તંત્ર અને સમાજે સાથે મળીને આ દિશામાં નક્કર ડગલાં માંડવા અનિવાર્ય છે.


