વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે એક અત્યંત કરૂણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 8 માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થયેલા મહિલાના સસરાનું, ટિકિટ મળવાની ખુશીમાં હૃદયરોગના હુમલાથી નિધન થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે હરખનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના વોર્ડ નંબર 8 માં કોંગ્રેસે ઉર્મિલાબેન પરમારને પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ઉર્મિલાબેનના સસરા વર્ષોથી કોંગ્રેસના કટ્ટર સમર્થક હતા અને તેમની પ્રબળ ઈચ્છા હતી કે તેમના પરિવારમાંથી કોઈને પક્ષ તરફથી ટિકિટ મળે. જેવી ઉર્મિલાબેનના નામની જાહેરાત થઈ, પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, આ ખુશી સસરા સહન કરી શક્યા નહીં અને તેમને હાર્ટ એટેક આવતા તેમનું કરૂણ નિધન થયું હતું.

પરિવારમાં આવેલા આ અણધાર્યા આઘાત અને સામાજિક રીતિરિવાજોને કારણે હવે ઉર્મિલાબેન પરમાર ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. શોકગ્રસ્ત પરિવાર અને ધાર્મિક પરંપરાઓને માન આપીને ઉર્મિલાબેને પોતે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે.
આ કપરી પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષ દ્વારા હવે નવો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉર્મિલાબેનના બદલે તેમના પરિવારના જ કોઈ અન્ય સભ્યને પક્ષ ટિકિટ આપી શકે છે, જેથી તેમના સસરાની રાજકીય ઈચ્છાને જીવંત રાખી શકાય. હાલ તો આ ઘટના વડોદરાના રાજકીય આલમમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.


