ખાસ કરીને મહિલાઓ અને બાળકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. દારૂડિયાઓ દ્વારા કરવામાં આવતી ગાળાગાળી અને ન્યુસન્સને કારણે રહેણાંક વિસ્તારોમાં ભયનો માહોલ છે.સુરેન્દ્રનગરના ઐતિહાસિક શહેર વઢવાણમાં દેશી દારૂ અને ગાંજાના વધતા જતા વેચાણને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ વઢવાણ પોલીસ મથકે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. લોકોનો આક્ષેપ છે કે વઢવાણના નવા દરવાજા બહાર અને કોળીપરા જેવા વિસ્તારોમાં બેરોકટોક નશાનો કારોબાર ચાલી રહ્યો છે. રાત્રિના સમયે દારૂડિયાઓના ત્રાસને કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. દારૂડિયાઓ દ્વારા કરવામાં આવતી ગાળાગાળી અને ન્યુસન્સને કારણે રહેણાંક વિસ્તારોમાં ભયનો માહોલ છે.
રજૂઆત કરવા પહોંચેલા સ્થાનિકોએ પોલીસને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો આ નશાના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. લોકોનું કહેવું છે કે અગાઉ પણ અનેકવાર મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. પોલીસ અધિકારીઓએ આ મામલે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે અને સંબંધિત વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવાની ખાતરી આપી છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ નશાના કારોબારીઓ સામે કેવા કડક પગલાં ભરે છે.


