વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા “વર્લ્ડ બાઈસિકલ ડે” નિમિત્તે ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણ પાસેથી જાણો સાઈકલિંગ દ્વારા થતા લાભ
ભરૂચ,
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા “વર્લ્ડ બાઈસિકલ ડે” તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણ પાસેથી સાઈકલિંગ દ્વારા થતા શારીરિક, માનસિક અને પર્યાવરણની જાળવણી માટે થતાં લાભ વિશે જાણીએ. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2018થી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તથા પર્યાવરણને પણ નુકસાન ન થાય તે હેતુથી લોકોમાં સાઈકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા દર વર્ષે 2 જૂનના દિવસે “વર્લ્ડ બાઈસિકલ ડે” ઉજવવામાં આવે છે. ભરૂચ જિલ્લાના સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ રોજ નિયમિત રીતે સાઈકલિંગ કરી રહ્યા છે અને સાઈકલિંગ થકી જ શ્વેતા વ્યાસે 3 વર્ષમાં 30 કિલો જેટલું વજન ઉતાર્યું છે અને હાલમાં પણ નિયમિત રીતે સાયક્લિંગ કરી રહ્યા છે.
જે 2022માં નારી શક્તિ એવોર્ડ તથા 2023માં અપના જંકશન ફાઉન્ડેશન દ્વારા ઈન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ એવોર્ડ સન્માન મેળવી ચૂક્યા છે.
ભરૂચ જિલ્લાના સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણ 2018થી સાઈકલિંગ કરી તેમના અસહ્ય કમર દર્દમાં સંપૂર્ણ સ્વસ્થતા મેળવી નિયમિત સાયકલિંગ કરી રહ્યા છે.
નિલેશ ચૌહાણ 2018 તથા 2023માં ગોવા નેશનલ બાઈસિકલ એકસપિડિશન તથા 2021માં મનાલી લેહ ખારડુંગલા નેશનલ બાઈસિકલ એકસપિડિશન જે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ખારડુંગલા પાસસ સુધી પહોંચવા માટે દુર્ગંમ પહાડી વિસ્તારમાં 600 કીલોમીટર જેટલું સાયક્લિંગ કરી સફળતા પૂર્વક પૂર્ણ કરી ચૂક્યા છે અને સાઈકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વડોદરા ખાતે તેમને 1 મે 2025ના રોજ એટલે કે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
“વર્લ્ડ બાઈસિકલ ડે” નિમિત્તે ઉપરોક્ત બંને સાઇકલિસ્ટોએ ભરૂચ જિલ્લાની જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને બધાએ સાથે મળી બને ત્યાં સુધી પોતાના રોજીંદા જીવનમાં સાઈકલનો ઉપયોગ કરી સાઈકલિંગ થકી સારૂ સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણી કરવામાં વિશ્વ આરોગ્ય સંસ્થાના કાર્યમાં સાથ-સહકાર આપવો જોઈએ તેવી અપીલ કરી હતી.
Reporter : કેતન મહેતા, ભરૂચ