બાંગ્લાદેશમાં ઈન્કીલાબ મંચોના સ્થાપક શરીફ ઓસ્માન હાદીના નશ્વર દેહને તેની અંતિમ ઈચ્છા પ્રમાણે રાષ્ટ્રીય શાયર કાઝી નઝર-ઉલ-ઈસ્લામની કબર પાસે શનિવારે સાંજે દફનાવવામાં આવ્યો. તે પછી હાદીએ સ્થાપેલા ‘ઇન્કીલાબ-મંચો’ના સભ્યો, તેમજ તેના સમર્થકોએ મોહમ્મદ યુનુસનાં માર્ગદર્શન નીચેની સરકારને આખરીનામું આપી દેતાં જણાવ્યું છે કે, ‘હાદીના હત્યારાઓને ચોવીસ કલાકમાં પકડી પાડો નહીં તો રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનો શરૂ થશે.’
બાંગ્લાદેશ કે પાકિસ્તાનમાં પણ પ્રદર્શનોનો સીધો અર્થ હિંસાચાર જ થાય છે, અને તે હિંસાચાર ત્યાં વસતી લઘુમતિઓ હિન્દુ, શિખ, ઇસાઇ, પારસી, યહૂદીઓ ઉપર જ વળે છે. તેમાંએ સૌથી વધુ નિશાન તો હિન્દુઓને જ બનાવાય છે જે કટ્ટરવાદીઓની ‘પરંપરા’ છે.

સહજ છે કે તેથી દેશમાં હજી પણ વસી રહેલા હિન્દુઓ સૌથી વધુ ચિંતાગ્રસ્ત છે કારણ કે પોલીસ કે અન્ય સલામતી દળો તેમને કેટલું રક્ષણ આપશે ?
ટૂંકમાં બાંગ્લાદેશ અત્યારે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે કે, ત્યાં સરકાર જેવું પણ કશું રહ્યું હોય તેમ દેખાતું નથી. ત્યાં કટ્ટરપંથીઓ તેમની મનમાની ચલાવે છે. માત્ર ભારત જ નહીં વિશ્વનાં તમામ દેશો બાંગ્લાદેશની સરકાર શું કરે છે, તેની ઉપર બાઝ નજર રાખી રહી છે. એવું લાગે છે કે, બાંગ્લાદેશમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓનું જ રાજ ચાલે છે. મોહમ્મદ યુનુસ સરકાર નપુંસક બની ગઈ છે. લઘુમતિઓ દેશ છોડી રહી છે. મોટા યંત્ર-સંકુલો (કારખાનાં) મોટેભાગે હીન્દુઓનાં જ છે જે એક પછી એક બંધ થતાં જાય છે, આથી બેકારી સતત વધતી જાય છે, ત્યાં પરિસ્થિતિ સુધરે તેમ જ નથી.


