ટેરિફ અંગે એક અમેરિકન કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે સરકારમાં વિચિત્ર દાવો કર્યો છે. ટ્રમ્પ વહીવટી તંત્રે દાવો કર્યો છે કે જો કોર્ટે સરકારની ટેરિફ લગાવવાની શકિતઓને મર્યાદિત કરી તો ભારત અને પાકિસ્તાનની વચ્ચે થયેલ યુદ્ધ વિરામ તૂટી શકે છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ સરકાર કોર્ટમાં વિશ્વની અનેક મોટા અર્થતંત્રો પર વ્યાપક ટેક્સ લગાવવાના પોેતાના તાજેતરના નિર્ણયનો બચાવ કરી રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ટેરિફ લગાવવા માટે પ્રમુખ ટ્રમ્પ દ્વારા ઇમરજન્સી શકિતઓનો ઉપયોગનો બચાવ કરતા ટ્રમ્પ વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ ગત સપ્તાહમાં યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડને જણાવ્યું હતું કે ટ્રમ્પની આ ટેરિફ શકિતઓને મર્યાદિત કરવાથી અમેરિકાના વેપાર સોદાઓને નુકસાન થશે.
આ દરમિયાન અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે ટેરિફ લગાવવાની શકિતઓ ઓછી કરવાથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધવિરામ તૂટી શકે છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના નાના બિઝનેસ કરનારા કેટલાક વેપારીઓએ ટ્રમ્પ વહીવટી તંત્ર વિરુદ્ધ આ કેસ દાખલ કર્યો છે. અરજી અનુસાર ટ્રમ્પના આ નિર્ણયથી વૈશ્વિક વેપાર પર વ્યાપક અસર પડી શકે છે. આ અપીલ અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન અમેરિકાના વાણિજય સચિવ હોવર્ડ લુટનિકે કોર્ટમાં જણાવ્યું હતું કે ટેરિફની શક્તિઓેને મર્યાદિત કરવાના નિર્ણયની અસર દરેક ક્ષેત્ર પર પડશે જેમાં આર્થિક સાધનોનો વ્યૂહાત્મક અસરથી ઉપયોગ કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે ભારત અને પાકિસ્તાન બે પરમાણુ શક્તિઓની વચ્ચે થોડાક દિવસ પહેલા યુદ્ધ ચાલી રહ્યું હતું. ૧૦ મે, ૨૦૨૫ના રોજ બંને દેશોની વચ્ચે યુદ્ધ વિરામ થયું હતું. આ યુદ્ધ વિરામ ફક્ત પ્રમુખ ટ્રમ્પના હસ્તક્ષેપના કારણે જ શક્ય બન્યું હતું.
ટ્રમ્પ સરકારે જણાવ્યું હતું કે બંને દેશોની વચ્ચે મોટા પાયે યુદ્ધ ટાળવા માટે અમેરિકાએ વેપાર ન કરવાની ચેતવણી આપી હતી. ટ્રમ્પ સરકારે વધુમાં જણાવ્યું હતું કે કોર્ટના આ નિર્ણયથી સમગ્ર ક્ષેત્રની સુરક્ષા અને લાખો લોકોનું જીવન ખતરામાં પડી શકે છે.