આશરે બે દાયકાની લાંબી વાટાઘાટો બાદ આજે ભારત અને યુરોપિયન સંઘ ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલની જાહેરાત કરવાના છે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન તથા ભારતના વડાપ્રધાન મોદીએ દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી છે.
ભારત અને યુરોપે ગઇકાલે મુક્ત વેપાર સમજૂતી અંગે વાટાઘાટો સંપન્ન કરી. આજે તેની સત્તાવાર જાહેરાત કરાશે. આ ડીલથી બંને પક્ષોની અર્થવ્યવસ્થામાં રોકાણ અને વેપારને પ્રોત્સાહન મળશે. આજે સત્તાવાર જાહેરાત બાદ તબક્કાવાર ડીલ લાગુ કરાશે. નોંધનીય છે કે યુરોપિયન આયોગના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન પરિષદના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા હાલ ભારતના પ્રવાસે છે. બંને નેતાઓ ગઇકાલે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ચીફ ગેસ્ટ હતા. આજે ભારત અને યુરોપના 16માં શિખર સંમેલનમાં ફ્રી ટ્રેડ ડીલની મોટી જાહેરાત કરાશે. યુરોપ આ ડીલને ‘મધર ઓફ ઑલ ડિલ્સ’ કહે છે. આ ડીલ બાદ ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાં ધરખમ વધારો થશે. ઓટોમોબાઈલ, વાઈન, સ્પિરિટ્સ સહિતના સેક્ટર્સમાં પણ ડીલ કરાશે. જેમાં ભારતમાં યુરોપિયન વાહનો પર ટેરિફ ઘટાડવામાં આવી શકે છે. જ્યારે યુરોપ ભારતીય ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ, જ્વેલરી, ફૂટવિયર સહિતની વસ્તુઓ પર ટેરિફમાં રાહત આપશે.
વર્ષ 2025માં ભારત અને યુરોપ વચ્ચે કુલ 136.53 અબજ ડોલરનો વેપાર થયો. ભારતે 60.7 અબજ ડોલરનો સામાન આયાત કર્યો જ્યારે 75.9 અબજ ડોલરના સામાનની નિકાસ કરી. એવામાં ટ્રેડ ડીલમાં ટેરિફમાં ઘટાડો થતાં ઉપભોક્તા અને ઉત્પાદક બંનેને લાભ થશે.

ભારત યુરોપથી હાઈ કેટેગરી મશીનરી, ઈલેક્ટ્રોનિક્સ, વિમાન, મેડિકલ ઉપકરણ વગેરે આયાત કરે છે. જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, સ્માર્ટફોન, કાપડ, ફાર્મા પ્રોડક્ટ્સ, જ્વેલરી, લોખંડની નિકાસ કરવામાં આવે છે. એવામાં આ ડીલમાં 90 ટકા સામાન પર ટેરિફ ઓછો અથવા નહિવત થઈ શકે છે. આ સેક્ટરમાં કામ કરતાં ઉદ્યોગો અને બિઝનેસમેનને તેનો મોટો લાભ મળશે.
- યુરોપના કુલ 27 દેશોની બજારમાં ભારતની પહોંચ વધશે
- યુરોપના 45 કરોડ લોકોના બજારમાં ભારતીય કંપનીઓની સીધી એન્ટ્રી થશે
- ટેક્સ ઓછો થવાના કારણે ભારતની નિકાસ વધશે
- યુરોપની કંપનીઓ ભારતમાં રોકાણ વધારશે, FDI વધશે
- નિકાસ અને રોકાણના કારણે રોજગાર વધશે
- સપ્લાય ચેઈનમાં સુધારો થતાં ચીન પરની નિર્ભરતા ઘટશે


