સાઉદી અરેબિયામાં 20 માર્ચે ઈદ-ઉલ-ફિત્રની જાહેરાત થઈ છે, જ્યારે ભારતમાં 19 માર્ચની સાંજે ચાંદ દેખાવા પર ઈદની તારીખ નક્કી થશે.મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર રમઝાન માસ હવે પૂર્ણતાના આરે છે અને સમગ્ર વિશ્વમાં ઈદ-ઉલ-ફિત્રની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ઈસ્લામિક કેલેન્ડર મુજબ રમઝાનના 29 અથવા 30 રોઝા રાખ્યા બાદ, શવ્વાલ મહિનાનો ચાંદ દેખાય ત્યારે ઈદ મનાવવામાં આવે છે. વર્ષ 2026માં ચાંદના દર્શનને લઈને અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટે અગાઉ નાગરિકોને બુધવારે સાંજે ચાંદ જોવાની અપીલ કરી હતી, પરંતુ તે દિવસે ચંદ્ર દેખાયો ન હતો. પરિણામે, સાઉદી અરેબિયામાં 19 માર્ચ 2026ને ગુરુવારના રોજ રમઝાનનો છેલ્લો દિવસ (30મો રોઝો) માનવામાં આવી રહ્યો છે. આથી, ત્યાં 20 માર્ચ 2026ને શુક્રવારના રોજ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવશે.

ભારતમાં ચાંદ જોવાના ભૌગોલિક તફાવતને કારણે સામાન્ય રીતે સાઉદી અરેબિયા કરતા એક દિવસ પછી ઈદ મનાવવામાં આવતી હોય છે. ભારતમાં આજે રમઝાનનો 29મો દિવસ છે. જો આજે સાંજે આકાશમાં ચાંદ દેખાશે, તો ભારતમાં પણ શુક્રવારે ઈદ મનાવી શકાય છે. જો આજે ચાંદ ન દેખાય તો શુક્રવારે રમઝાનનો 30મો દિવસ હશે અને શનિવાર, 21 માર્ચ 2026 ના રોજ ઈદ મનાવવામાં આવશે.
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે ચાંદ દેખાવાની શક્યતાઓને જોતા ભારત અને સૌદીમાં એક દિવસના અંતરે અથવા સાથે પણ ઈદ હોઈ શકે છે, જે સંપૂર્ણપણે ગુરુવારની સાંજની ચાંદની દૃશ્યતા પર નિર્ભર છે.
ઈદ-ઉલ-ફિત્ર એ માત્ર તહેવાર નથી, પરંતુ અલ્લાહ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. આ તહેવાર હિજાબી કેલેન્ડરના દસમા મહિના એટલે કે ‘શવ્વાલ’ના પ્રથમ દિવસે ઉજવાય છે. આ દિવસે મુસ્લિમ બિરાદરો નવા કપડાં પહેરે છે, ઈદગાહમાં વિશેષ નમાઝ અદા કરે છે અને એકબીજાને ગળે મળીને ‘ઈદ મુબારક’ પાઠવે છે.


