બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિનીએ ગુરુવારે (11મી ડિસેમ્બર) દિલ્હીમાં સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્ર માટે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં રાજકીય અને ફિલ્મ ઉદ્યોગના અનેક લોકો હાજર રહ્યા હતા. પ્રાર્થના સભા દરમિયાન હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી. તેમણે તેમના એક અધૂરા સપના વિશે પણ વાત કરી હતી.
પ્રાર્થના સભામાં ભાવુક થઈને હેમા માલિનીએ જણાવ્યું હતુ કે, ‘ઉર્દૂ કવિતાનું પુસ્તક લખવાનું અને પ્રકાશિત કરવાનું ધરમજીનું સપનું અધૂરું રહ્યું. સમય જતાં, જ્યારે તેમણે ઉર્દૂ કવિતા લખવાનું શરૂ કર્યું ત્યારે તેમના વ્યક્તિત્વનો એક છુપાયેલો પાસું પ્રકાશમાં આવ્યો. તેમની ખાસ વાત એ હતી કે પરિસ્થિતિ ગમે તે હોય, પરંતુ તેઓ ઉર્દૂ શાયરી સંભળાવતા. હું ઘણી વાર તેમને કહેતી હતી કે તેમણે એક પુસ્તક લખવું જોઈએ. તેમના ચાહકોને તે ગમ્યું હોત. ધરમજી આ વિશે ખૂબ જ ગંભીર હતા, બધું જ આયોજન કરતા હતા. પરંતુ તે અધૂરું રહ્યું.’

પ્રાર્થના સભામાં હેમા માલિનીએ જણાવ્યું હતું કે, ‘જે માણસ સાથે મેં ઘણી ફિલ્મોમાં પ્રેમનું પાત્ર ભજવ્યું હતું તે મારો જીવનસાથી બન્યો. અમારો પ્રેમ સાચો હતો, તેથી અમને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત મળી. અમે લગ્ન કર્યા. ધરમજી મારા માટે ખૂબ જ સમર્પિત જીવનસાથી બન્યો. તે મારા માટે શક્તિના સ્તંભ તરીકે ઊભો રહ્યા.’
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં યોજાયેલી સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્ર માટે પ્રાર્થના સભામાં ગૃહમંત્રી અમિત શાહ, જે.પી નડ્ડા અને અનેક મંત્રીઓ હાજર રહ્યા હતા. કંગના રણૌત અને રવિ કિશન પણ હાજર રહ્યા હતા. હેમા માલિનીની પુત્રીઓ એશા અને આહના પણ પ્રાર્થના સભામાં હાજર રહી હતી.


