ગુજરાત રાજ્યના ધરતીપુત્ર ખેડૂતોના સર્વાંગી ઉત્કર્ષ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્રઢ સંકલ્પ સાથે આગળ વધી રહી છે. ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખીને અમલમાં મુકાયેલી ‘કિસાન સૂર્યોદય યોજના’ આજે કૃષિ ક્ષેત્રમાં વિકાસનો નવો સૂર્યોદય સાબિત થઈ રહી છે.

અગાઉ સિંચાઈ માટે ખેડૂતોને રાત્રિના અંધકારમાં જોખમ અને મુશ્કેલીઓ વચ્ચે કામ કરવું પડતું હતું, પરંતુ હવે દિવસ દરમિયાન નિયમિત વીજ પુરવઠો ઉપલબ્ધ થતાં ખેડૂતોના જીવનમાં સુરક્ષા, સુવિધા અને સમૃદ્ધિનો ઉજાસ પાથરાયો છે. દિવસની વીજળીથી ખેતી વધુ આયોજનબદ્ધ અને કાર્યક્ષમ બની છે.
યોજનાની સફળતા અંગે માહિતી આપતાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, પોરબંદર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી સી.સી. ડામોરએ જણાવ્યું હતું કે પોરબંદર વર્તુળ હેઠળ કેશોદ, માંગરોળ, પોરબંદર સિટી અને પોરબંદર રૂરલ એમ ચાર ડિવિઝનમાં વર્ષ ૨૦૨૦થી કિસાન સૂર્યોદય યોજના અમલમાં છે. યોજનાના કારણે ખેતી કામગીરી વધુ સરળ અને આધુનિક બની છે.
તેમણે જણાવ્યું કે ખેડૂતોને હવે સવારે ૫:૦૦ થી ૧:૦૦ અને બપોરે ૧:૦૦ થી રાત્રે ૯:૦૦ એમ બે તબક્કામાં દિવસ દરમિયાન વીજ પુરવઠો મળી રહ્યો છે. પરિણામે રાત્રિના ઉજાગરા બંધ થયા છે અને ખેડૂતો દિવસ દરમિયાન ખેતી સાથે સામાજિક તથા અન્ય કાર્યો પણ સરળતાથી કરી શકે છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી અને સંતોષ જોવા મળી રહ્યો છે.
પોરબંદર વર્તુળ હેઠળ કુલ ૩૫૧ ફીડર મારફતે ૩૭૯ ગામોના અંદાજે ૧.૩૦ લાખથી વધુ ખેડૂતો આ યોજનાનો સીધો લાભ લઈ રહ્યા છે.
આગામી આયોજન અંગે અધિક્ષક ઇજનેરે જણાવ્યું હતું કે ખેતી માટેના વીજ માળખાને વધુ મજબૂત બનાવવા કોસ્ટલ વિસ્તારમાં ૩૭૩ ફીડરમાં એમ.વી.સી.સી. કામગીરી મંજૂર કરવામાં આવી છે, જેમાંથી ૪૧ ફીડરમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આગામી સમયમાં આરડીએસએસ યોજના હેઠળ તમામ ફીડરને મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટરથી આવરી લેવામાં આવશે, જેથી વીજ વિતરણ વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનશે.
કિસાન સૂર્યોદય યોજનાના કારણે ખેડૂતોને રાત્રિના સમયે જંગલી જાનવરોનો ભય તથા અકસ્માતોની શક્યતાઓમાંથી કાયમી મુક્તિ મળી છે. દિવસ દરમિયાન વીજળી મળવાથી સૂર્યપ્રકાશનો પુરેપુરો ઉપયોગ થઈ રહ્યો છે અને આધુનિક ખેતી સાધનો તથા મશીનરીનો યોગ્ય ઉપયોગ થતાં ખેતી વિકાસ સાથે ખેડૂતોના આરોગ્ય અને સામાજિક જીવનસ્તરમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ


