બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ૧૯૯૬થી ૨૦૦૧ અને તે પછી ૨૦૦૯થી ૨૦૨૫ સુધી સત્તા પર રહી છે. નાગરિકો જાણતા હતા કે મતદાન દરમ્યાન અને મત ગણતરી વખતે તેમના નિયુક્ત અધિકારીઓ અને ગુંડાઓ શેખ હસીનાને જ વિજયી જાહેર કરતા હતા. બીજી તરફ બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી, સગાવાદ, જોહુકમી અને તુમાખી ચરમ સીમાએ હતી. નાગરિકો અને વિશેષ કરીને યુવાનો ગયા વર્ષે જોબ ક્વોટા સામે રસ્તા પર આંદોલન માટે ઉતરી આવ્યા હતા ત્યારે શેખ હસીનાએ તેમની પોલીસ, ગુંડાઓને ઉતારી ૧૪૦૦થી વધુ યુવા આંદોલનકારોને ઠાર કર્યા કે તેઓને ઘેર સળગાવી દેવાયા હોવાનું મનાય છે. આ વર્ષે ફરી યુવાનો જેન ઝેડ સાથે મેદાને ઉતર્યા. શેખ હસીના સામેનો રોષ અને બંડ એ હદનો હતો કે લોકોએ સંસદ પર હુમલો કર્યો. શેખ હસીનાને ખતમ કરવા હજારોનું ટોળું તેના વિસ્તારમાં ફરી વળ્યું પણ શેખ હસીના નાસી જઈ ભારતમાં આશ્રય લેવામાં સફળ થયા. શેખ હસીનાને ઉઠલાવી મોહમ્મદ યુનુસ કાર્યકારી વડા પ્રધાન બન્યા.હવે શેખ હસીનાના સમર્થકો કે જેમાં અસામાજિક તત્વો જ વધારે હતા તેઓ અને હસીનાના વિરોધીઓ સામસામે થયા. ભારે વિસ્ફોટક સ્થિતિ બની. સામસામે ક્રૂડ બૉમ્બ ફેંકાયા. લૂંટ, આગજની, હત્યાંઓનો પણ હિસાબ થયો. બાંગ્લાદેશની કોર્ટે શેખ હસીનાને મોતની સજા જાહેર કરી છે. ૨૦૨૬માં શેખ હસીનાનું ભાવિ કે આયુષ્ય કેટલું છે તે નક્કી થઇ જશે તેમ લાગે છે.

બાંગ્લાદેશમાં કટ્ટર પંથીઓએ એક વ્યક્તિની ઝાડ પર લટકાવી હત્યા કરી : બેફામ હિંસા
બાંગ્લાદેશના માયમનસિંહ જિલ્લામાં કાપડ ઉદ્યોગમાં મજૂરી કરતી એક ભારતીય વ્યક્તિએ એવું કહેવાય છે કે અન્ય ધર્મીઓની લાગણી દુભાય તેવું કહ્યું હતું આથી રોષે ભરાઈ ટોળાએ ૨૫ વર્ષીય આ વર્કરને ઝાડ પર લટકાવી સળગાવી દીધો હતો. આ ઘટના એ જ દિવસે થઈ જ્યારે ૩૨ વર્ષીય વિદ્યાર્થી નેતા કે જે શેખ હસીના સામે આંદોલન ચલાવતો હતો તેવા શરીફ ઓસ્માન હાદીનું સિંગાપુરમાં મૃત્યુ થયું, જેના કારણે દેશભરમાં વિરોધ પ્રદર્શનો ભડક્યા. બાંગ્લાદેશની બહુમતી વસ્તી એવું માને છે કે હાદી ને ઠાર કરનારા ભારત નાસી ગયા છે અને ત્યાં આશ્રય મેળવે છે. શેખ હસીના તરફી અખબારોની ઓફિસ સળગાવી હતી. ભારતની ઢાકા સ્થિત હાઈ કમિશનની ઓફિસ નજીક પણ ભારે તંગદીલી સરહઇ હતી.
પાકિસ્તાન અને તાલિબાનો વચ્ચે લોહીયાળ જંગ
અફઘાનિસ્તાનમાં પાકીસ્તાની તાલિબાનો છે જેઓને પાકિસ્તાન સાથે દુશમનાવટ છે. તાલિબાની આતંકી નેતા નૂર વાલી મહેમુદ તેની ટુકડી દ્વારા પાકિસ્તાનમાં આતંકી હુમલો કરતો હોય છે. નૂરનો ખાતમો બોલાવવા પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો અને તે પછી તાલિબાનોએ પાકિસ્તાન સેના પર વળતો હુમલો કર્યો બંને પક્ષ એકબીજાના ૩૦૦ જેટલાં સૈન્યને ઠાર કર્યા તેમ દાવો કરે છે. એક વખત સમાધાન થયા પછી ફરી યુદ્ધ જેવો તનાવ વધ્યો છે.
બલુચીઓએ પાકિસ્તાનની ટ્રેન હાઈજેક કરી : 40ના મોત
વર્ષ દરમ્યાન પાકિસ્તાનના દમન અને વર્ષોથી થતા જુલમ અને શોષણથી ત્રાસી જઈને બલુચિસ્તાન તેમનું અલાયદું અસ્તિત્વ માંગે છે. પાકિસ્તાન આ માટે સંમત નહીં હોઇ બલુચિસ્તાન લિબરેશન આર્મી પાકિસ્તાન સૈનિકો પર અવારનવાર હુમલા કરે છે. આ વર્ષે તેઓએ કોઈએ કલ્પના ન કરી હોય તેવી યોજનાને જન્મ આપતા પાકિસ્તાનની કવેટાથી પેશાવર જાતિ ટ્રેન હાઈજેક કરી હતી અને તેમાં પ્રવાસ કરી રહેલા ૪૦૦ મુસાફરોને ૨૮ કલાક માટે બાનમાં લીધા હતા. પાકિસ્તાનના સૈનિકો મદદે આવ્યા અને સામસામે ગોળીબાર થયા. ૪૦ના મૃત્યુ થયા પણ ૧૪૦ મુસાફરોના હજુ કોઈને સગડ નથી.
સીડનીના બોન્ડાઈ બીચ પર આતંકી હુમલો, 15ના મૃત્યુ
સીડનીનો બોન્ડાઈ બીચ વિશ્વ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર હોય છે. ત્યાં આવેલ આર્ચર પાર્કમા ૧૦૦૦થી વધુ યહૂદીઓ ‘હનુકકાહ’ તહેવાર ઉજવી રહ્યા હતાં ત્યારે ઇસ્લામ સ્ટેટ સાથે જોડાયેલ બે આતંકીઓએ અંધાધુંધ ગોળીબાર કરીને ૧૫ વ્યક્તિઓના મોત નીપજવ્યા હતાં. આ આંકડો હજુ વધુ હોત પણ એક નીડર અને ખડતલ વ્યક્તિએ ઝડપથી દોડી જઈને એક આતંકવાદીને પાછળથી પકડી લીધો હતો. જો કે બીજા આતંકવાદીએ તેને ગોળી વીંધી તેથી તે ઘાયલ થયો હતો. એક આતંકીને પોલીસે ઠાર કર્યો હતો જે અન્ય ઈજાગ્રસ્ત આતંકીના પિતા હતાં. તેઓ વર્ષોથી ભારતના હૈદરાબાદને છોડી ચુક્યા હતાં પણ ભારતીય પાસપોર્ટ ધરાવીને ઓસ્ટ્રેેલિયા આવ્યા હતાં. આતંકીને પકડનાર નીડર વ્યક્તિ હીરો બની ગયો છે તેણે સારવાર લેવી પડી હતી.
નેપાળમાં Gen Z ક્રાંતિ સરકારને ઉથલાવીને જ રહી
નેપાળમાં ભ્રષ્ટાચારે મઝા મૂકી હતી. તમામ મહત્વની જગ્યા પર નેતાઓએ તેમના સગાઓને ગોઠવી દીધા હતા. નાગરિકોના કોઈને કામ લાંચ વગર નહોતા થતા. નાગરિકોમાં અને યુવાનોમાં ભારે અજંપો હતો. સરકારે યુવાઓ સંગઠિત ન થાય તે માટે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ બંધ કરી દીધા અને પરિસ્થિતિ વણસી. ૮થી૧૩સપ્ટેમ્બર નેપાળમાં યુવા પેઢી રસ્તા પર દેખાવ કરતા ઉતરી પડી. સરકારે પોલીસ અને અર્ધ સૈન્ય દળને ઉતાર્યું. ભારે હિંસા, લૂંટ થઇ તેમાં વિરોધ પક્ષો પણ જોડાયા. અંતે વડા પ્રધાન કે. પી. શર્માને રાજીનામુ આપવું પડયું અને શુશીલા કાર્કી વચગાળાના વડા પ્રધાન તરીકે નિયુક્ત થયા. હિંસક બનેલ આંદોલનમાં ૨૦થી ૨૫ વર્ષના યુવાનો વધુ હોઇ આંદોલનને જનરેશન ઝેડ ( જેન ઝેડ)તરીકે ઓળખ મળી.
ઇમરાન ખાનનું જેલમાં મૃત્યુ થયું તેવી અફવા અને પાકિસ્તાનમાં તંગદીલી વધી
પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ઇમરાને ખાને નિવૃત્તિ પછી તહરીક એ ઇન્સાફ નામનો શાસકોને ભારે પડી જાય તેવો રાજકીય પક્ષ બનાવ્યો.તે ૨૦૧૮થી ૨૦૨૨ દરમ્યાન વડા પ્રધાન પણ બન્યા. એવું કહેવાય છે કે ૫ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ તેમની ભ્રષ્ટાચાર અને તેમને વડા પ્રધાન તરીકે જે મોંઘી ભેટ મળી હતી તે વેચી મારી છે તેવો મનઘડંત આરોપ મૂકીને ધરપકડ કરવામાં આવેલી અને ૧૪ વર્ષની સજા સાથે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જેલમાં તેમની પર સિતમ ગુજારી હત્યા કરી નાંખવામાં આવી છે તેવી અફવા ફેલાતા પાકિસ્તાનમાં તેના સમર્થકો રસ્તા પર આવી તોફાન કરી મુકવાની જાહેરાત કરી ચુક્યા હતા. અફવા શાંત પાડવા ઇમરાન ખાનના બહેન ઉઝમા ખાનને જેલમાં જઈને ઇમરાન ખાનને મળવાની છૂટ અપાઈ હતી. ઉઝમા ખાને કહ્યું કે માનસિક રીતે ખતમ કરી નાંખવા ઇમરાન ખાનને સાવ એકલા જ એક કોટડીમાં રખાયા છે. એવું કહી શકાય કે ઇમરાન ખાન પર મોતનો ભય તો છે જ.


