E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : ડાંગના મહાલમાં દીપડાનો આતંક સમાપ્ત ૬ દિવસની ભારે જહેમત બાદ...

Gujarat : ડાંગના મહાલમાં દીપડાનો આતંક સમાપ્ત ૬ દિવસની ભારે જહેમત બાદ વન વિભાગને મળી સફળતા


ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગ હેઠળ આવતી બરડીપાડા રેન્જના મહાલના જંગલ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ફેલાયેલો દીપડાનો ફફડાટ આખરે દૂર થયો છે. ગત ૨૩મી તારીખે દીપડાએ સ્થાનિકો પર હુમલો કરવાની ઘટના બાદ સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળતો હતો. વન વિભાગની સતત કામગીરી અને જહેમતને પરિણામે ૬ દિવસ બાદ આ હિંસક દીપડો પાંજરે પુરાતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

ઉલ્લેખનીય છે કે, ૨૩ તારીખના રોજ મહાલના જંગલ વિસ્તારમાં દીપડાએ ઓચિંતા હુમલો કર્યો હતો, જેમાં લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ઉત્તર વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બરડીપાડા રેન્જની ટીમે અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવી દીપડાને પકડવા માટે ચક્રગતિમાન કર્યા હતા. સતત ૬ દિવસ સુધી વનકર્મીઓએ જંગલમાં વોચ રાખી હતી.


વન વિભાગની સફળતા અને આગળની કાર્યવાહી આખરે વન વિભાગની વ્યૂહરચના સફળ રહી હતી અને દીપડો પાંજરામાં કેદ થયો હતો. પાંજરે પુરાયેલા દીપડાને સુરક્ષિત રીતે મહાલથી બરડીપાડા રેન્જ ઓફિસ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દીપડો પકડાયાના સમાચાર મળતા જ આસપાસના ગ્રામજનોમાં ખુશી અને શાંતિનો માહોલ જોવા મળ્યો હતો.
આ અંગે બરડીપાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર હળપતિ (RFO) એ જણાવ્યું હતું કે, “ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ, પાંજરે પુરાયેલા દીપડાને હાલ નવતાડ ખાતેના વન્ય પ્રાણીઓના સેન્ટર (કસ્ટડી) માં લઈ જવામાં આવશે. ત્યાં નિષ્ણાતો દ્વારા દીપડાનું તબીબી પરીક્ષણ અને જરૂરી લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે દીપડાની તબિયત અને વર્તણૂકને ધ્યાનમાં રાખીને તેને કુદરતી આવાસમાં મુક્ત કરવો કે અન્ય કોઈ સુરક્ષિત સ્થળે રાખવો તે અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.વન વિભાગની આ ત્વરિત કામગીરીને કારણે જનતામાં વહીવટી તંત્ર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે અને સંભવિત મોટી જાનહાનિ ટળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments