અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, અતિશય લાંબી અને વજનદાર ધજાઓને કારણે પવનના દબાણથી ધ્વજદંડ અને સુવર્ણ શિખરની મજબૂતી પર વિપરીત અસર પડવાની શક્યતા રહેતી હોય છે,…
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શિખર પર ચડાવવામાં આવતી ધજાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષો જૂના ધ્વજદંડ અને લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સુવર્ણ શિખરની જાળવણી અને સુરક્ષાના હેતુથી હવે મંદિરના શિખર પર માત્ર 5 મીટર સુધીની લંબાઈ ધરાવતી ધજા જ ચડાવી શકાશે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, અતિશય લાંબી અને વજનદાર ધજાઓને કારણે પવનના દબાણથી ધ્વજદંડ અને સુવર્ણ શિખરની મજબૂતી પર વિપરીત અસર પડવાની શક્યતા રહેતી હોય છે, જેના નિવારણ માટે આ મર્યાદા નક્કી કરવામાં આવી છે.

નવા નિયમ મુજબ, જો કોઈ શ્રદ્ધાળુ 5 મીટરથી વધુ લંબાઈ ધરાવતી ધજા લઈને આવશે, તો તે ધજા શિખર પર ચડાવી શકાશે નહીં. જોકે, ભક્તોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે ટ્રસ્ટ દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે આવી લાંબી ધજાઓ માતાજીના ચરણોમાં અર્પણ કરી શકાશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય મંદિરની ઐતિહાસિક ધરોહર અને સુવર્ણ કામગીરીને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવાનો છે. શ્રદ્ધાળુઓએ પણ મંદિરના આ વહીવટી નિર્ણયને આવકારીને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.


