બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીએ મુલાકાત લીધી હતી.
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીએ મુલાકાત લીધી હતી. પિતા-પુત્રની આ જોડીએ હનુમાનજી દાદાના દર્શન કરી પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં પહોંચ્યા બાદ મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગૌ પૂજન કર્યું હતું. ત્યારબાદ તેઓએ અત્યંત શ્રદ્ધાપૂર્વક મંદિરના શિખર પર ધ્વજા ચઢાવી હતી.

મંદિરના કોઠારી સ્વામી દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને દાદાનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. મુલાકાત દરમિયાન એક મહત્વની જાહેરાત પણ સામે આવી છે. કોઠારી સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરની દૈનિક આરતી જીયો (Jio) પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારિત કરવા માટે મુકેશ અંબાણીને વિનંતી કરી હતી. આ વિનંતીનો તુરંત સ્વીકાર કરતા મુકેશ અંબાણીએ તેમના પુત્ર અનંત અંબાણીને આ અંગે જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી હોવાનું સ્વામીએ જણાવ્યું હતું.
હવે વિશ્વભરના ભક્તો જીયો પર દાદાની આરતીના લાઈવ દર્શન કરી શકશે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને જોવા માટે સાળંગપુર મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જ્યારે તેઓ દર્શન કરીને પરત રવાના થઈ રહ્યા હતા ત્યારે સમગ્ર વાતાવરણ ‘જય શ્રી રામ’ ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. અંબાણી પરિવારની આ મુલાકાતને પગલે સુરક્ષાની પણ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી.


