E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGandhinagarGandhinagar : 1800 કરોડની જાહેરાતના એક વર્ષ બાદ પણ કામગીરી ''શૂન્ય',...

Gandhinagar : 1800 કરોડની જાહેરાતના એક વર્ષ બાદ પણ કામગીરી ”શૂન્ય’, પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર

ગુજરાતના દરિયાકાંઠાના અને નીચાણવાળા ‘ઘેડ’ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી મોટી જાહેરાતો માત્ર કાગળ પર જ રહી ગઈ હોવાના આક્ષેપ સાથે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સિંચાઈ મંત્રીને ધારદાર પત્ર લખ્યો છે. ફેબ્રુઆરી 2025ના બજેટમાં ફાળવવામાં આવેલા ₹1500 કરોડ અને વધારાના ₹300 કરોડની કામગીરી હજુ સુધી કેમ શરૂ થઈ નથી, તેવા સવાલો સાથે તેમણે સરકારની નીતિ અને દાનત પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

પાલ આંબલિયાએ પત્રમાં જણાવ્યું છે કે, ફેબ્રુઆરી 2025ના બજેટમાં ઘેડ વિસ્તાર માટે ₹1500 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યના મંત્રીઓ દ્વારા અનેક પ્રેસ કોન્ફરન્સ કરીને વાહવાહી લૂંટવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે એક વર્ષ પૂરું થવા આવ્યું હોવા છતાં આ પ્રોજેક્ટને માત્ર ‘સૈદ્ધાંતિક મંજૂરી’ જ મળી છે, ‘વહીવટી મંજૂરી’ માટે ફાઈલો હજુ પણ સરકારી કચેરીઓમાં ધૂળ ખાઈ રહી છે.

પત્રમાં સરકારની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા આંબલિયાએ પૂછ્યું છે કે, “ઘેડમાં કામ કરવાનો ઉત્તમ સમય ડિસેમ્બરથી મે મહિનો છે. જો અત્યાર સુધી વહીવટી મંજૂરી ન મળી હોય, તો ટેન્ડર પ્રક્રિયા ક્યારે થશે? શું સરકાર મે મહિનામાં વર્ક ઓર્ડર આપીને જૂનમાં વરસાદમાં કામો ધોવાઈ જાય અને માત્ર બિલ બની જાય તેવો ભ્રષ્ટાચાર કરવા માંગે છે?”

મોડો જવાબ: કિસાન કોંગ્રેસ દ્વારા જુલાઈ 2024માં કરાયેલી રજૂઆતનો જવાબ દોઢ વર્ષ પછી ડિસેમ્બર 2025માં આપવામાં આવ્યો, જે સરકારની ગંભીરતા દર્શાવે છે.

પાલ આંબલિયાએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારનો ઈરાદો સાફ હોય તો અત્યાર સુધીમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ જવી જોઈતી હતી. તેમણે સિંચાઈ મંત્રીને વિનંતી કરી છે કે આગામી ચોમાસા પહેલા ઘેડની નદીઓને નવી દિશા આપવાનું અને ખેડૂતોના હિતનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવા માટે તાત્કાલિક વહીવટી મંજૂરી આપવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments