આ કેન્દ્ર પર વહેલી સવારથી જ જીવદયા પ્રેમીઓ અને વેટરનરી ડોક્ટરોની ટીમ ખડેપગે રહીને લોહીલુહાણ હાલતમાં આવતા કબૂતર, પોપટ અને અન્ય પક્ષીઓને નવજીવન આપવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.
રાજકોટમાં ઉત્તરાયણના પર્વ પર આકાશ પતંગોથી ભરાઈ જાય છે, ત્યારે બીજી તરફ પતંગના જીવલેણ માંજાથી ઘાયલ થતા અબોલ પક્ષીઓને બચાવવા માટે ‘કરુણા અભિયાન’ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. શહેરના મધ્યમાં આવેલા ત્રિકોણ બાગ ખાતે ખાસ કરુણા અભિયાન કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યાં પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓની તાત્કાલિક સારવાર કરવામાં આવે છે. આ કેન્દ્ર પર વહેલી સવારથી જ જીવદયા પ્રેમીઓ અને વેટરનરી ડોક્ટરોની ટીમ ખડેપગે રહીને લોહીલુહાણ હાલતમાં આવતા કબૂતર, પોપટ અને અન્ય પક્ષીઓને નવજીવન આપવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.

આ અભિયાન માત્ર સારવાર પૂરતું મર્યાદિત નથી, પરંતુ નાગરિકોમાં જાગૃતિ લાવવા માટેનું એક મોટું માધ્યમ પણ બન્યું છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે પતંગ ઉડાડતી વખતે પક્ષીઓ પ્રત્યે સંવેદના રાખવામાં આવે અને જો કોઈ ઇજાગ્રસ્ત પક્ષી મળી આવે તો તુરંત હેલ્પલાઇન નંબર અથવા ત્રિકોણ બાગ સ્થિત કેન્દ્રનો સંપર્ક કરવામાં આવે. સ્વયંસેવકો અને તબીબોની આ ટીમ દ્વારા પાંખ કપાયેલા પક્ષીઓના સર્જરીથી લઈને ડ્રેસિંગ સુધીની તમામ સુવિધાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ માનવતાવાદી અભિગમથી સેંકડો પક્ષીઓના જીવ બચાવી શકાયા છે, જે સાચા અર્થમાં ઉત્તરાયણના પર્વને સાર્થક કરે છે.


