પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક અત્યંત અમાનવીય ઘટના સામે આવી છે. શહેરના ભરચક વિસ્તાર ગણાતા કલાલ દરવાજા નજીક એક પ્લાસ્ટિકની થેલીમાંથી ભ્રૂણ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ગોધરા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ગોધરાના કલાલ દરવાજા વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં શંકાસ્પદ હાલતમાં એક પ્લાસ્ટિકની થેલી પડી હતી. સ્થાનિક લોકોની નજર આ થેલી પર પડતા અને તેમાં તપાસ કરતા, અંદરથી એક નવજાત ભ્રૂણ મળી આવ્યું હતું. કોઈ અજાણી વ્યક્તિ આ ભ્રૂણને અહીં ત્યજીને ફરાર થઈ ગઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ગોધરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ગોધરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ભ્રૂણને પોતાના કબજે લીધું હતું.

ભરબજારમાં અને જાહેર રસ્તા નજીક આ પ્રકારે ભ્રૂણ ફેંકી દેવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આ ઘટનાને માનવતા પર કલંક સમાન ગણાવી રહ્યા છે અને માગ કરી રહ્યા છે કે આ કૃત્ય કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.


