આગામી 3 માર્ચે ચંદ્રગ્રહણ છે, જેમાં ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક અને 27 મિનિટનો રહેશે. પરંતુ ભારતમાં ઘણા રાજ્યો અને શહેરોમાં આ ગ્રહણ સાંજે 6 વાગ્યા પછી જ માત્ર અડધો કલાકથી 45 મિનિટ માટે જોવા મળશે. જ્યારે કેટલાક રાજ્યો અને શહેરોમાં ચંદ્રોદય ગ્રહણ કાળ પછી થવાનો હોવાથી ગ્રહણ જોવા મળશે નહીં. જેના લીધે વિવિધ શહેરોમાં ચંદ્રગ્રહણ પાળવા મામલે અલગ-અલગ મત પ્રવર્તે છે. જો કે, ભારતમાં કેટલાક ભાગોમાં ગ્રહણ દેખાવાના કારણે મંદિરોમાં વેધકાળ વગેરેનું પાલન સહિતની પરંપરાઓ અનુસરવામાં આવશે. એટલે ચંદ્રગ્રહણના સમયગાળાને ધ્યાનમાં રાખીને દ્વારકાના જગતમંદિરમાં બપોરે જ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે, જાણો દર્શન અને સેવા ક્રમનો નવો સમય.
ફાગણી પૂનમના બીજા દિવસે મંદિરોમાં અને ખાસ કરીને વિષ્ણુ ભગવાન અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના મંદિરો તથા પુષ્ટીમાર્ગીય મંદિરોમાં ફૂલડોલ ઉત્સવની પરંપરા છે. જો કે, ચંદ્રગ્રહણના કારણે ફૂલડોલ ઉત્સવની ઉજવણીમાં પણ પરિવર્તન જોવા મળશે.

શ્રી નાથદ્વારાથી પ્રકાશિત થતાં વૈષ્ણવ પંચાગ સમાન ટીપ્પણી અનુસાર તથા દ્વારકાના જગતમંદિર શ્રી દ્વારકાધીશ મંદિર અનુસાર, ફૂલડોલ ઉત્સવ 3 માર્ચના બપોરે ઉજવવામાં આવશે. જ્યાં હજારો કિલોમીટરનું અંતર કાપી લાખો પદયાત્રીઓ ફૂલડોલ ઉત્સવ માટે ઉમટે છે. એ દ્વારકાના જગતમંદિરે 3 માર્ચ, 2026ના સવારે 11 થી 12 વાગ્યામાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરાશે. જેમાં બપોરે 12થી રાત્રે 8 વાગ્યા સુધી મંદિરમાં દર્શન બંધ રહેશે અને રાત્રે 8 વાગ્યે ઉત્થાપન દર્શન થશે, પછી ક્રમશ: સેવા ક્રમ નિભાવી રાત્રે 11 વાગ્યે શયન દર્શન પછી મંદિરના દ્વાર બંધ થશે.
‘છોટીકાશી’ જામનગરના વિવિધ મંદિરોમાં પણ દ્વારકાના જગતમંદિરની જેમ જ બપોર પછી મોડી સાંજ સુધી મંદિર બંધ રહેશે. જેના કારણે સાંજે 7:30થી 8 વાગ્યે બંધ થઈ જતાં મંદિરો બીજે દિવસે સવારે રાબેતા મુજબ ખોલવામાં આવશે. જ્યારે અમુક મંદિરોમાં સાંજે 7 થી 10 વાગ્યા સુધી ભગવાનના દર્શન તથા નિત્ય સેવા ક્રમ નિભાવવામાં આવશે.


