સુપ્રીમ કોર્ટે એક અત્યંત પીડાદાયક મામલામાં માનવીય અભિગમ અપનાવતા 13 વર્ષથી અચેત અવસ્થામાં પથારીવશ યુવક હરીશ રાણાને ‘પેસિવ યુથેનેશિયા’ (ઈચ્છામૃત્યુ)ની મંજૂરી આપી દીધી છે. ગાઝિયાબાદના રહેવાસી હરીશના માતા-પિતાએ પોતાના 100% દિવ્યાંગ પુત્રની હાલત જોઈ ન શકાતા કોર્ટ પાસે આ માગણી કરી હતી.જસ્ટિસ જે.બી. પારદીવાલાની ખંડપીઠે આ મામલે દિલ્હીની AIIMS હોસ્પિટલ પાસે મેડિકલ રિપોર્ટ મંગાવ્યો હતો. નિષ્ણાત તબીબોની ટીમે રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે, હરીશના સ્વાસ્થ્યમાં સુધારો થવાની હવે કોઈ જ શક્યતા નથી. આ રિપોર્ટને આધારે કોર્ટે અવલોકન કર્યું કે, કોઈ વ્યક્તિને આટલી અસહ્ય પીડામાં અનિશ્ચિતકાળ સુધી રાખી શકાય નહીં.

આ કરુણ ઘટના વર્ષ 2013ની છે. હરીશ રાણા ચંદીગઢમાં અભ્યાસ કરતો હતો ત્યારે હોસ્ટેલના ચોથા માળેથી નીચે પકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. છેલ્લા 13 વર્ષથી તે પથારીવશ હતો અને સતત અચેત અવસ્થામાં હોવાથી તેના શરીરમાં ગંભીર ઘા (Bedsores) પણ પડી ગયા હતા. દીકરાની આવી હાલત જોઈને લાચાર બનેલા માતા-પિતાએ અંતે ભારે હૈયે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
કોર્ટે હરીશ માટે ‘પેસિવ યુથેનેશિયા’ની મંજૂરી આપી છે. આ પ્રક્રિયામાં દર્દીને જીવંત રાખવા માટે આપવામાં આવતા કૃત્રિમ લાઈફ સપોર્ટ (જેમ કે વેન્ટિલેટર અથવા ફીડિંગ ટ્યુબ) ધીમે ધીમે હટાવી લેવામાં આવે છે, જેથી કુદરતી રીતે મૃત્યુ થઈ શકે. સુપ્રીમ કોર્ટે અગાઉ પણ ગરિમાપૂર્ણ મૃત્યુના અધિકારને માન્યતા આપી છે. ચુકાદો આપતી વખતે જસ્ટિસ પારદીવાલાએ ભાવુક થતા કહ્યું હતું કે, “આ નિર્ણય લેવો ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ આ સ્થિતિ અત્યંત દુખદ છે.”


