વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા નવા શૈક્ષણિક સત્ર પહેલા વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીની સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીમાં હવે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપતા 95 ટકા બેઠકો અનામત રાખવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયને પગલે વડોદરાના હજારો વિદ્યાર્થીઓ માટે MSUમાં પ્રવેશ મેળવવો સરળ બનશે.
ઉલ્લેખનીય છે કે, ગત શૈક્ષણિક વર્ષમાં યુનિવર્સિટી દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓ માટે માત્ર 75 ટકા બેઠકો ફાળવવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયનો વિદ્યાર્થી સંગઠનોદ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને, આ વર્ષે નવા સત્રના પ્રારંભ પૂર્વે જ સત્તાધીશોએ આ ક્વોટા વધારીને 95 ટકા કરી દીધો છે. બાકીની 5 ટકા બેઠકો પર જ બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકશે.

આ વર્ષે માત્ર બેઠકોની સંખ્યા જ નહીં, પરંતુ પ્રવેશની પદ્ધતિમાં પણ ધરખમ ફેરફાર કરાયો છે. MSUના ઇતિહાસમાં પ્રથમ વખત કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષ (F.Y. B.Com) માં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ (પ્રવેશ પરીક્ષા) યોજવામાં આવશે. અગાઉ મેરિટના આધારે પ્રવેશ મળતો હતો, પરંતુ હવે વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરવી પડશે. આ વર્ષે કુલ 6730 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નિર્ણયથી શિક્ષણની ગુણવત્તા સુધરશે અને લાયક વિદ્યાર્થીઓને જ સ્થાન મળશે તેવી આશા સેવવામાં આવી રહી છે.


