ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવ વચ્ચે વિદેશી ધરતી પર ફસાયેલા દક્ષિણ ગુજરાતના માછીમારો માટે રાહતના સમાચાર આવ્યા છે. વલસાડ અને નવસારી જિલ્લાના માછીમારો ભારત સરકાર અને સાંસદ ધવલ પટેલની સક્રિયતાને કારણે સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઈરાનમાં ફસાયેલા દક્ષિણ ગુજરાતના માછીમારો માટે રાહતના સમાચાર આવ્યા છે. સાંસદ ધવલ પટેલની સક્રિયતા અને કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ વલસાડ અને નવસારી જિલ્લાના માછીમારો સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે.

રોજગારી મેળવવા માટે ઈરાન ગયેલા નવસારી અને વલસાડના અનેક માછીમારો ત્યાં અચાનક ફાટી નીકળેલા સંઘર્ષને કારણે ફસાઈ ગયા હતા. વિદેશી ધરતી પર અટવાયેલા પોતાના સ્વજનોની સુરક્ષાને લઈને સ્થાનિક પરિવારોમાં ભારે ચિંતા પ્રસરી હતી. આ મામલે માછીમાર પરિવારોએ સાંસદ ધવલ પટેલની મુલાકાત લઈને રજૂઆત કરી હતી.
ઘટનાની ગંભીરતા સમજી સાંસદ ધવલ પટેલે ત્વરિત પગલાં લીધા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સતત સંપર્ક જાળવીને રાજદ્વારી સ્તરે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ત્વરિત કાર્યવાહીને પરિણામે માછીમારોની વતન વાપસીનો માર્ગ મોકળો થયો હતો.
આજે જ્યારે આ માછીમારો સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે તેમના પરિવારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. પરત ફરેલા માછીમારો અને તેમના સગા સંબંધીઓએ મુશ્કેલ સમયમાં મદદરૂપ થવા બદલ ભારત સરકાર અને ખાસ કરીને સાંસદ ધવલ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.


