ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવા માટે બંને દેશોના 117 જેટલાં અગ્રણી નેતાઓ અને નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફને પત્ર લખ્યો છે. આ પત્રમાં ભારતના 61 તથા પાકિસ્તાનના 55 લોકોએ સહી કરી છે.
પત્રમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત ફરીથી શરૂ કરવા તથા સંબંધોને પુનઃ સામાન્ય બનાવવાના પ્રયાસોને વેગવંતા બનાવવા અપીલ કરાઈ છે.
30 જૂનના રોજ લખાયેલા આ પત્રનું સંકલન સેન્ટર ફોર પીસ એન્ડ પ્રોગ્રેસના ચેરમેન ઓ.પી. શાહ દ્વારા કરાયું છે. જેમાં બંને દેશો વચ્ચેના વિવાદો દૂર કરવા માટે નિયમિત મંત્રણા અને સંવાદને એકમાત્ર સમાધાન તરીકે દર્શવાયો છે.
પત્રમાં સહી કરનારાઓએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધો ફરીથી સ્થાપિત કરવા, બંને દેશોમાં રાજદૂતોની નિમણૂક કરવા, નોર્મલ વિઝા સર્વિસ બહાલ કરવા તથા વિવાદિત મુદ્દાઓના ઉકેલ માટે દ્વિપક્ષીય વાતચીત શરૂ કરવાની અપીલ કરી છે.

આ ઉપરાંત તેમાં જમ્મુ-કાશ્મીરની સમસ્યા મુદ્દે 2004-2007 દરમિયાન ભારતના તત્કાલીન વડાપ્રધાન ડો. મનમોહન સિંહ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ વચ્ચેની ગુપ્ત રાજદ્વારી વાટાઘાટોને પણ ફરીથી શરૂ કરવા રજૂઆત કરાઈ છે. આ સિવાય બંને દેશોને સૈન્યની સંખ્યામાં તબક્કાવાર ઘટાડો કરવા, વેપારના માર્ગો શરૂ કરવા, અટ્ટારી-વાઘા સરહદ ફરીથી ખોલવા તથા દિલ્હી-લાહોર, શ્રીનગર-મુઝફ્ફરાબાદ બસ સેવા, સમજૌતા એક્સપ્રેસ તથા થાર એક્સપ્રેસ શરૂ કરવા પણ અપીલ કરાઈ છે.
જોકે ભાજપના નેતા રવિંદર રૈનાએ જણાવ્યું હતું કે, ભારત સરકારની નીતિ સ્પષ્ટ છે, આતંકવાદ અને મંત્રણા એકસાથે શક્ય નથી. પાકિસ્તાન સાથેના સંબંધો માત્ર રાષ્ટ્રીય હીતો અને સુરક્ષાના આધારે જ નક્કી થશે.
પત્રમાં સહી કરનારા ભારતીયો
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાહ, મહેબૂબા મુફ્તી, રોના પૂર્વ પ્રમુખ એ.એસ. દુલાત, રાજ્યસભાના સાંસદ મનોજ જ્હા, પૂર્વ રાજદૂત અશરફ જહાંગીર કાઝી, અલગાવવાદી નેતા મિરવાઈઝ ઉમર ફારૂક, પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐયર.
ભારતે પાકિસ્તાનની જેલમાં બંધ 188 માછીમારો, નાગરિકોને છોડવા અપીલ કરી
ભારતે પાકિસ્તાનમાં સજા ભોગવી ચૂકેલા 188 ભારતીય માછીમારો તથા નાગરિકોને ઝડપથી છોડી તેમને સ્વદેશ પરત મોકલવા અપીલ કરી છે. આ અંગે માહિતી આપતાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત સરકારના પ્રયાસો થકી 2014થી અત્યાર સુધીમાં પાકિસ્તાનની જેલમાંથી 2,661 માછીમારો તથા 78 નાગરિકોને સ્વદેશ પરત લાવવામાં સફળતા મળી છે. આ ઉપરાંત ભારત સરકારે ભારતીય જેલમાં રહેલાં 386 પાકિસ્તાની નાગરિકો અને 53 માછીમારોની યાદી પાકિસ્તાનને સોંપી છે. મંત્રાલયના જણાવ્યાં અનુસાર, ભારત અને પાકિસ્તાને બુધવારે બંને દેશોની જેલમાં રહેલાં તેમના નાગરિકો અને માછીમારોની યાદીની આપલે કરી હતી. બંને દેશો વચ્ચે થયેલાં કરાર અંતર્ગત દર વર્ષે 1 જાન્યુઆરી તથા 1 જુલાઈના રોજ આ યાદીની આપલે કરવામાં આવે છે.


