કર્ણાટકમાં ડી. કે. શિવકુમાર સરકારે સોમવારે મંત્રીમંડળનો પ્રથમ વિસ્તરણ કર્યુ છે. 19 કોંગ્રેસ ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા, જ્યારે મંજૂર થયેલી યાદીમાં સામેલ એકમાત્ર મહિલા નેતા ગાયત્રી શાંતેગૌડાએ શપથ નહોતા લીધા. કેબિનેટ વિસ્તાર પહેલા પાર્ટીની અંદર નારાજગી પણ સામે આવી હતી. જે 20 નામોને પાર્ટીએ મંજૂરી આપી હતી, જેમાં કેબિનેટ વિસ્તાર પહેલા મંત્રી પદ ન મળવાથી એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું હતું, જ્યારે અનેક નેતાઓમાં નારાજગી જોવા મળી હતી.
લોક ભવનમાં મંત્રીઓના શપથ
બેંગલુરુના લોક ભવનમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ થાવરચંદ ગહલોતે નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. ડી. કે. શિવકુમારના મુખ્યમંત્રી બન્યાના અંદાજે બે મહિના પછી આ પહેલું કેબિનેટ વિસ્તરણ હતુ. સોમવારે જે 19 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા, તેમાં એન. ચેલુવરાયસ્વામી, બસવરાજ રાયરેડ્ડી, લક્ષ્મણ સાવદી, મધુ બાંગારપ્પા, એસએસ મલ્લિકાર્જુન, બી નાગેન્દ્ર, એચસી બાલકૃષ્ણ, કેએસ બસવંતપ્પા, ડૉ. અજય સિંહ, પીએમ નરેન્દ્રસ્વામી, સી. પુત્તરંગા શેટ્ટી, ટીઆર રઘુમૂર્તિ, રિઝવાન અરશદ, શિવરાજ તંગડાગી, રુદ્રપ્પા લમાની, બીઝેડ ઝમીર અહમદ ખાન, સંતોષ લાડ, કેએમ શિવલિંગે ગૌડા અને વિજયાનંદ કાશપ્પનવર સામેલ છે.

ગાયત્રી શાંતેગૌડા કેમ ન લઈ શક્યા શપથ?
કોંગ્રેસ હાઈકમાન્ડે 20 મંત્રીઓના નામોને મંજૂરી આપી હતી, જેમાં ગાયત્રી શાંતેગૌડાનું નામ પણ સામેલ હતું. પરંતુ, સોમવારે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં તેમણે શપથ લીધા નહોતા. ગાયત્રી હાલમાં જ ચિકમગલૂર સ્થાનિક સ્વરાજ્ય નિર્વાચન ક્ષેત્રમાંથી કર્ણાટક વિધાન પરિષદ માટે ચૂંટાયા છે. આ સીટ ડિસેમ્બર 2021 માં ચૂંટાયેલા ભાજપ નેતા એમકે પ્રાણેશની ચૂંટણી સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા પછી ખાલી થઈ હતી. જોકે, ગાયત્રીએ હજુ સુધી કર્ણાટક વિધાન પરિષદના સભ્ય તરીકે સત્તાવાર શપથ લીધા નથી. આ જ કારણ છે કે, તેઓ આ વખતે મંત્રી પદના શપથ લઈ શક્યા નથી. 19 નવા મંત્રીઓના શપથ લીધા પછી પણ, કર્ણાટક કેબિનેટમાં એક પદ ખાલી છે. નિયમ મુજબ, મુખ્યમંત્રી સહિત રાજ્યમાં કુલ 34 મંત્રીઓ હોઈ શકે છે.
મંત્રી બન્યા પછી શું બોલ્યા પીએમ નરેન્દ્રસ્વામી?
શપથ લીધા પછી પીએમ નરેન્દ્રસ્વામીએ કહ્યું કે ‘મંત્રી બનીને ખુશી થઈ રહી છે, અને પાર્ટીને મજબૂત કરવા માટે પૂરી મહેનત કરવામાં આવશે. 2028 ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ફરીથી સત્તામાં પાછી લાવવી એ પહેલું લક્ષ્ય છે. આ સાથે જ 2029માં રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનતા જોવું એ આપણા બધાનું સપનું છે’.
કેબિનેટ વિસ્તાર પહેલા નારાજ હતા અનેક ધારાસભ્યો
કેબિનેટ વિસ્તાર પહેલા અનેક કોંગ્રેસ ધારાસભ્યોની નારાજગીના અહેવાલો સામે આવ્યા હતા. આના પર સીએમ ડી. કે. શિવકુમારે બધાને ધીરજ રાખવાની વાત કહી હતી. તેમનું કહેવું હતું કે, દરેક ધારાસભ્યને એક સાથે મંત્રી બનાવવા શક્ય નથી, પરંતુ આવનારા સમયમાં બાકીના નેતાઓને પણ તક મળશે. મંત્રી પદ ન મળવાથી નારાજ ઇંદી સીટના ધારાસભ્ય યશવંતરાયગૌડા વી પાટીલે રાજીનામું આપી દીધું. તેમના સમર્થકોએ વિધાનસભા બહાર ભારે નારેબાજી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિધાનસભા અધ્યક્ષ માટે પણ મહોર
બીજી તરફ કોંગ્રેસ હાઈકમાન્ડે વિધાનસભા અધ્યક્ષ માટે જી એસ પાટીલ, ઉપાધ્યક્ષ માટે એ. એસ. પોન્નન્ના, વિધાન પરિષદ સભાપતિ માટે સલીમ અહમદ અને ઉપ-સભાપતિ માટે ઉમાશ્રીના નામ પર મંજૂરી આપી છે. મંત્રીમંડળમાં સ્થાન ન મેળવનારા મોટા ચહેરાઓમાં એચસી મહાદેવપ્પા, એચકે પાટીલ, દિનેશ ગુંડૂ રાવ, કે વેંકટેશ, એમસી સુધાકર અને લક્ષ્મી હેબ્બાળકર સામેલ છે. આ વરિષ્ઠ નેતાઓની ઉપેક્ષા કરવાથી પાર્ટીની અંદર નારાજગી સ્પષ્ટપણે અનુભવાઈ રહી છે.
કેબિનેટ વિસ્તાર પછી પણ કોંગ્રેસ સામે નેતાઓ વચ્ચે સંતુલન જાળવી રાખવાનો પડકાર બનેલો છે. અનેક વરિષ્ઠ નેતાઓને સ્થાન ન મળવાથી પાર્ટીની અંદર અસંતોષની ચર્ચા તેજ છે. જોકે, નેતૃત્વે સ્પષ્ટ કર્યું છે કે, આવનારા સમયમાં અન્ય નેતાઓને પણ જવાબદારી સોંપવામાં આવશે.


