ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રી બખ્તિયોર સાઈદોવ સાથેની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત ઉઝબેકિસ્તાનને પોતાના વિસ્તૃત પડોશનો મહત્વપૂર્ણ ભાગ માને છે અને બંને દેશો વચ્ચેના સંબંધોમાં સતત પ્રગતિ થઈ રહી છે.
બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો મજબૂત
જયશંકરે જણાવ્યું કે ભારત અને ઉઝબેકિસ્તાનના નેતૃત્વ વચ્ચે સતત સંપર્ક જળવાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ માટે વિશેષ સન્માન ધરાવે છે. બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો હવે બાંધકામ, ડિજિટલ ટેક્નોલોજી, ઊર્જા, આરોગ્ય અને શિક્ષણ જેવા અનેક ક્ષેત્રોમાં વિસ્તરી ચૂક્યા છે.

ભારત હવે ઉઝબેકિસ્તાન સાથે ખનન ક્ષેત્રમાં પણ સહકાર વધારશે
વિદેશ મંત્રીએ જણાવ્યું કે ભારત હવે ઉઝબેકિસ્તાન સાથે ખનન ક્ષેત્રમાં પણ સહકાર વધારવા માગે છે. હાલમાં બંને દેશો વચ્ચેનો વેપાર લગભગ 1 અબજ ડોલરની નજીક છે અને તેને વધુ વધારવાની શક્યતાઓ છે. તેમણે ભારત-ઉઝબેકિસ્તાન સંપર્કોને મજબૂત બનાવવા માટે સંસદીય મિત્રતા જૂથની સ્થાપનાની માહિતી પણ આપી હતી.
અનેક પડકારો સામે એક સાથે કામ કરી રહ્યા છીએ
જયશંકરે વિદેશ નીતિ અને વૈશ્વિક મુદ્દાઓ પર બંને દેશોની સમાન વિચારધારા અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે વિકાસશીલ દેશો તરીકે ભારત અને ઉઝબેકિસ્તાન આતંકવાદ, ઉગ્રવાદ અને ડ્રગ્સની હેરાફેરી જેવા પડકારો સામે એકસાથે કામ કરી રહ્યા છે. બંને દેશો શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સહિત વિવિધ દ્વિપક્ષીય અને બહુપક્ષીય મંચો પર સહયોગ કરી રહ્યા છે. જયશંકરે ઉઝબેકિસ્તાન સરકાર અને લોકો દ્વારા આતંકવાદ સામે અપનાવવામાં આવેલા કડક વલણની પ્રશંસા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત અને ઉઝબેકિસ્તાન બંને સરહદ પારના આતંકવાદ અને આતંકવાદી આશ્રયસ્થાનો સામે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે.


