મિડલ ઈસ્ટ તણાવ દરમિયાન ભારતમાં E20 પેટ્રોલનો ફરજિયાત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેનો વિપક્ષ સહિત અનેક સંગઠનો વિરોધ કરી રહ્યા છે. જે અંતર્ગત આજે નાગપુરમાં યુવક કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવાસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે કોંગ્રેસ અનેક નેતા અને કાર્યકરોની અટકાયત કરી છે.
E20 પેટ્રોલના ઉપયોગના વિરોધમાં પ્રદર્શન રેલી
E20 પેટ્રોલના ઉપયોગના વિરોધમાં પ્રદર્શન રેલી નાગપુરના મહેલ વિસ્તારમાં ચિંતામણિ પાર્ક ચોકથી શરૂ થઈ હતી. જે નીતિન ગડકરીના ખાનગી નિવાસસ્થાન તરફ આગળ વધી રહી હતી. આ વિરોધ પ્રદર્શનમાં યુવક કોંગ્રેસના કાર્યકરોએ E20 ઇંધણ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા.

પોલીસે ઘણા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી
જ્યારે કેન્દ્રીય મંત્રીના નિવાસસ્થાન પાસે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને માર્ગ પર બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા હતા. જ્યારે વિરોધીઓએ બેરિકેડ્સ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે ઘણા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી.
નીતિન ગડકરીએ આપેલા જવાબથી અનેક પ્રશ્નો
કોંગ્રેસ E20 પેટ્રોલ મુદ્દા પર સતત ગડકરી પર નિશાન સાધી રહી છે. પાર્ટીનું કહેવું છે કે E20 પેટ્રોલના દેશવ્યાપી રોલઆઉટ અંગે 29 જુલાઈના રોજ સંસદમાં નીતિન ગડકરીએ આપેલા જવાબથી અનેક પ્રશ્નો ઉભા થયા છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોમવારે જણાવ્યું હતું કે ગડકરી દાવો કરે છે કે E20 ઇંધણ વર્ષોના વૈજ્ઞાનિક પરીક્ષણ પછી રજૂ કરવામાં આવ્યું હતું અને તેનાથી વાહનોને વ્યાપક નુકસાન થયું હોવાના કોઈ પુરાવા નથી.


