Iભારત સરકારે દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને સરહદ પારથી ફેલાવવામાં આવતા આતંકવાદને જડબાતોડ જવાબ આપવા માટે સોમવારે ‘પ્રહાર’ (PRAHAAR) નામની પ્રથમ વ્યાપક આતંકવાદ વિરોધી નીતિ (Anti-Terror Doctrine) જાહેર કરી છે. આ નવી નીતિ અંતર્ગત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ વધારીને ટ્રાન્સનેશનલ ટેરરિઝમ (વિદેશની ધરતી પરથી ફેલાવાતા)નો ખાત્મો કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલા દસ્તાવેજો મુજબ, આધુનિક સમયમાં આતંકવાદી સંગઠનો સ્થાનિક નેટવર્ક, લોજિસ્ટિક્સ અને ભૌગોલિક જાણકારીનો ઉપયોગ કરીને હુમલા કરી રહ્યા છે. પાડોશી દેશોમાં અવારનવાર સર્જાતી અસ્થિરતાનો લાભ ઉઠાવીને આતંકવાદીઓ સુરક્ષિત આશ્રય સ્થાનો બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિને આ નીતિથી નવું બળ મળશે.

શું છે આતંકને લગતા ભારતના મુખ્ય પડકારો?
- સ્પોન્સર્ડ ટેરરિઝમ: સરહદ પારથી પ્રાયોજિત આતંકવાદ અને જેહાદી સંગઠનો ભારત માટે મોટો પડકાર છે.
- ગ્લોબલ નેટવર્ક: અલ-કાયદા અને ISIS જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો સ્લીપર સેલ દ્વારા ભારતમાં હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
- ટેકનોલોજીનો દુરુપયોગ: ડ્રોન, એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ, ડાર્ક વેબ અને ક્રિપ્ટો વોલેટનો ઉપયોગ કરીને આતંકીઓ ઓળખ છુપાવી શકે છે.
- પંજાબ અને જમ્મુ-કાશ્મીર: આ રાજ્યોમાં ડ્રોન દ્વારા હથિયારો અને નશીલા પદાર્થો મોકલવાનું દુષણ ફેલાયું છે.
- CBRNED ખતરો: કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ, ન્યુક્લિયર, એક્સપ્લોસિવ અને ડિજિટલ સામગ્રી સુધી આતંકીઓની પહોંચ રોકવી એ એજન્સીઓ માટે મોટો પડકાર છે.
હવે ભારત સરકારે સૈન્ય કાર્યવાહીની સાથે સામાજિક સ્તરે પણ ફેરફારો કરવા ‘પ્રહાર’ નીતિમાં વિશેષ જોગવાઈ કરી છે. આતંક પ્રભાવિત સમુદાયોને ફરીથી મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ડોક્ટરો, મનોવિજ્ઞાનીઓ, વકીલો અને ધાર્મિક નેતાઓનો સહયોગ લેવામાં આવશે. આ નીતિ હેઠળ નાગરિક વહીવટ પુનઃનિર્માણ અને પુનઃસ્થાપનના કાર્યોનું નેતૃત્વ કરશે.
ભારતે આતંકવાદને કોઈ ચોક્કસ ધર્મ કે જાતિ સાથે જોડવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. આ નીતિ હેઠળ ભારત અન્ય દેશો સાથે ઇન્ટેલિજન્સ શેરિંગ, પ્રત્યાર્પણ સંધિ (Extradition Treaty) અને મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રિટી જેવા કરારો દ્વારા આતંકીઓને કાયદાના શરણે લાવવા પર પણ ભાર મૂકાશે.


