મહારાષ્ટ્રના થાણેમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. વાગલે એસ્ટેટ ક્ષેત્રમાં રહેવાવાળા 13 વર્ષના વિદ્યાર્થીએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. ઘટના શુક્રવાર રાતની હોવાનું ખૂલ્યું છે. પોલીસ મુજબ, વિદ્યાર્થી ઘરના ત્રીજા માળે સ્થિત એક રૂમમાં પંખાથી લટેકલી હાલતમાં મળ્યો, પરિવારજનો તાત્કાલિક તેને એક ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાંથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પણ હાજર ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો.
મૃતકની ઓળખ રુદ્ર રાકેશ સિંહના રૂપે થઈ છે. તે મુંબઈના મુલુંડ વિસ્તારમાં આવેલી એક શાળામાં અભ્યાસ કરતો હતો. પોલીસ અધિકારી જણાવ્યું કે, હાલમાં જ શાળાના આચાર્યએ રુદ્રના તોફાનીપણાની જાણ કરવા વાલીને બોલાવ્યા હતા. શાળામાંથી જાણવા મળ્યું છે કે સાથી વિદ્યાર્થીઓ સાથે તે સતત મજાક અને ફ્રેન્ક કરતો હતો, જે તેની આદત બની જતાં આચાર્ય નારાજ હતા.
ઘટના સમયે રુદ્રના પિતા શહેરથી બહાર હતા, તે માટે આચાર્ય પાસે તેની માતા ગઈ હતી. માતાએ ઘરે આવીને દીકરા રુદ્રને મીઠો ઠપકો આપ્યો અને તેના શાળામાં વ્યવહાર અંગે નારાજગી દર્શાવી. સાથે જ કહ્યું કે તારા પિતાને જાણકારી આપી દીધી છે. જે બાદ આશંકા છે કે પરિવારજનો અને ખાસ કરીને પિતાના ઠપકાના ડરથી વિદ્યાર્થીએ અંતિમ પગલું ભરી લીધું.

શ્રીનગર પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પ્રાથમિક તપાસ બાદ સ્પષ્ટ કર્યું છે કે હાલ સુધીમાં કોઈ પ્રકારનું કાવતરું કે બાહ્ય દબાણના કોઈ સંકેતો મળ્યા નથી, પરંતુ દરેક પાસાની તપાસ ગહન રીતે ચાલુ છે, પોલીસ પરિવારજનોના નિવેદનો નોંધી રહી છે, શાળાના પ્રશાસનનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.
આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.


