દેશને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, “કોંગ્રેસે પોતાના શાસનકાળમાં આવશ્યક સુધારાઓ વિશે હંમેશા ખોટી વાતો ફેલાવી અને દરેક સુધારામાં વિલંબ કર્યો. આજે આપણા દેશ સામે જેટલી પણ પડકારો છે, તે બધી કોંગ્રેસ પાર્ટીના વર્ષોથી ચાલી રહેલા નકારાત્મક વલણને કારણે છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશના સંબોધનમાં મહિલા અનામત વિધેયકને લઈને કોંગ્રેસ અને વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “અનામત વિધેયકનો ઉદ્દેશ્ય કોઈની પાસેથી કંઈ પણ છીનવ્યા વગર આપણી નારી શક્તિને પાંખો આપવાનો હતો. મને આશા હતી કે, કોંગ્રેસ પોતાની ભૂતકાળની ભૂલો સુધારશે, પરંતુ તેણે નવો ઇતિહાસ રચવાની તક ગુમાવી દીધી હતી.” પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પરિવારવાદી પાર્ટીઓ મહિલાઓને આગળ વધવા દેવા નથી માગતી, કારણ કે મહિલાઓ તેમની સ્વાર્થ ભરેલી રાજનીતિને ખતમ કરી શકે છે. તેમણે દેશની સૌથી જૂની પાર્ટીને ઘેરતા કહ્યું કે, મહિલાઓના અનામતનો વિરોધ કરીને કોંગ્રેસે ફરી એક વાત સાબિત કરી દીધું છે કે કોંગ્રેસ એન્ટી રિફોર્મ પાર્ટી છે.

પીએમ મોદીએ કહ્યું કે, “ભારતનો દરેક નાગરિક જોઈ રહ્યો છે કે કેવી રીતે ભારતની નારી શક્તિની ઉડાનને રોકી દેવામાં આવી. તેમના સપનાઓને નિર્દયતાથી કચડી નાખવામાં આવ્યા. અમારા ભરચક પ્રયાસો છતાં અમે સફળ ન થઈ શક્યા. નારી શક્તિ વંદન અધિનિયમમાં સુધારો ન થઈ શક્યો. આ માટે હું દેશની માતાઓ-બહેનોની ક્ષમા માગુ છું.”
“અમારા માટે દેશહિત સર્વોપરી છે, પરંતુ જ્યારે કેટલાક લોકો માટે પક્ષનું હિત જ બધું બની જાય છે. પક્ષનું હિત દેશહિત કરતા મોટું થઈ જાય છે ત્યારે નારી શક્તિને અને દેશહિતને આનું પરિણામ ભોગવવું પડે છે. આ વખતે પણ આવું જ થયું. કોંગ્રેસ, DMK, TMC અને સમાજવાદી જેવી પાર્ટીઓની સ્વાર્થી રાજનીતિનું નુકસાન દેશની નારી શક્તિને ઉઠાવવું પડ્યું છે.


