ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા પુરવઠો ખોરવાતા ભારતમાં LPG લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસની કટોકટી વધુ ઘેરી બની છે. બુધવારે દેશના વિવિધ ભાગોમાં પરિસ્થિતિ ત્યારે ચિંતાજનક બની જ્યારે અનેક શહેરોમાં ગેસનો સપ્લાય અચાનક અટકી ગયો. ગેસ એજન્સીઓ અને વેરહાઉસની બહાર વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
રાજધાની દિલ્હીના નિઝામુદ્દીન જેવા વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. અત્યારે રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે, ત્યારે જ ગેસ પુરવઠો ઠપ્પ થતા નાના રેસ્ટોરન્ટ માલિકો અને હોટલ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક હોટલ માલિકોએ ફરિયાદ કરી છે કે ગેસ ન હોવાને કારણે તેમને વ્યવસાય બંધ કરવાની ફરજ પડી છે. જે હોટલો ચાલુ છે તે પણ બંધ થવાના આરે છે, કારણ કે લાંબા સમયથી કરેલા બુકિંગ છતાં સિલિન્ડર મળી રહ્યા નથી.

એક તરફ સરકાર સતત દાવો કરી રહી છે કે દેશમાં ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાવાની જરૂર નથી, પરંતુ બીજી તરફ ગ્રાહકોને કલાકો સુધી રાહ જોયા બાદ પણ ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. લોકોમાં એવી ચિંતા ફેલાઈ રહી છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો આ અછત હજુ વધી શકે છે.
સામાન્ય જનતાનું કહેવું છે કે ઓનલાઇન બુકિંગ કર્યાના ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં ડિલિવરી મળી રહી નથી. ગેસ એજન્સીઓ સિલિન્ડરની અછત હોવાનું જણાવી રહી છે. ગ્રાહકો હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે LPG ના પુરવઠાને તાત્કાલિક સામાન્ય કરવામાં આવે જેથી રસોડાના બજેટ અને જરૂરિયાતો પર વધુ અસર ન પડે.


