સિંહ બાદ હવે રીંછના હુમલાઓ થવા લાગ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં રીંછે અચાનક આવીને 3 લોકો પર ગંભીર હુમલો કર્યો હતો. પાલનપુરના રામપુરા વડલા ગામના ખેતરમાં અચાનક એક રીંછ આવી ચડ્યું હતું અને તેણે ખેતરમાં કામ કરી રહેલા 3 લોકો પર હુમલો કર્યો હતો. રીંછના હુમલામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા.
આતંક મચાવનાર રીંછને પકડવાના પ્રયાસ
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા બાદ વન વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ છે.વન વિભાગ દ્વારા ગામની સીમમાં આતંક મચાવનાર રીંછને પકડવા અને રેસ્ક્યુ કરવા માટેની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.સ્થાનિક વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા ગ્રામજનોને ખેતરમાં કે બહાર જતી વખતે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

જંગલ તરફ ન જવાની વન વિભાગની અપીલ
વન વિભાગે આસપાસના ગામોમાં ચેતવણી આપીને જંગલ તરફ ન જવાની અપીલ કરી છે. રીંછ કયા વિસ્તારથી આવ્યો અને હુમલાનું કારણ શું હતું તે અંગે વન વિભાગ વધુ તપાસ કરી રહ્યો છે. આ ઘટનાથી પાલનપુર અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક રહેવાસીઓએ વન્ય પ્રાણીઓની અવરજવર વધતી હોવાની ફરિયાદ કરી સુરક્ષા માટે વધુ પગલાં લેવા માંગ કરી છે.


