સરથાણા નેચર પાર્કમાં ભુવનેશ્વરના પ્રસિદ્ધ નંદનકાનન ઝૂ માંથી પ્રાણીઓની આપ-લે હેઠળ ‘શ્રી’ અને ‘અભય’ નામના વાઘની જોડીને સુરત લાવવામાં આવી છે.સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કના કુટુંબમાં મોટો વધારો થયો છે. ભુવનેશ્વર અને ઇન્દોરથી વિવિધ પ્રજાતિના પ્રાણીઓ લાવવામાં આવ્યા છે, જેના કારણે પ્રાણી સંગ્રહાલયની રોનક વધી ગઈ છે. ખાસ કરીને વાઘની નવી જોડી મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.

ભુવનેશ્વરના પ્રસિદ્ધ નંદનકાનન ઝૂ માંથી પ્રાણીઓની આપ-લે હેઠળ નવા મહેમાનો લાવવામાં આવ્યા છે. ‘શ્રી’ અને ‘અભય’ નામના વાઘની જોડીને સુરત લાવવામાં આવી છે.આ ઉપરાંત ત્રણ ચૌશિંગા, એક જોડી બાર્કિંગ ડીયર (કાંકર) અને બે માદા વરુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.પ્રાણીઓની વંશવૃદ્ધિ અને વિવિધતા જાળવવા માટે ઇન્દોર ઝૂ સાથે પણ એક્સચેન્જ કરવામાં આવ્યું છે. સુરત નેચર પાર્કે ઇન્દોરને હિપ્પોપોટેમસનું એક બચ્ચું આપ્યું છે, જેના બદલામાં સુરતને એક વાઘ પ્રાપ્ત થયો છે.
વલસાડ વન વિભાગ દ્વારા થોડા સમય પહેલા એક ઈજાગ્રસ્ત દીપડાના બચ્ચાને સારવાર અર્થે સુરત લાવવામાં આવ્યું હતું. નેચર પાર્કના તબીબોની દેખરેખ હેઠળ આ બચ્ચાની સફળ સારવાર કરવામાં આવી છે. હવે આ બચ્ચું સંપૂર્ણ સ્વસ્થ હોવાથી તેને સરથાણા નેચર પાર્કમાં જ કાયમી વસવાટ માટે વન વિભાગ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.


