ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના રહેવાસી 30 વર્ષીય હર્ષિત જૈને પોતાના વૈભવી જીવનનો ત્યાગ કરીને જૈન મુનિ તરીકે સંયમનો માર્ગ અપનાવ્યો છે. દિલ્હીમાં કપડાંના મોટા વેપારી હર્ષિત જૈને કરોડોની પ્રોપર્ટી, કારોબાર, મોટો પરિવાર અને તમામ સુખ-સુવિધાઓ છોડી દીધી છે. તેમનો પરિવાર બાગપતનો જાણીતો પરિવાર છે, જેમાં પિતા સુરેશ જૈન ઇલેક્ટ્રોનિક્સનો મોટો બિઝનેસ ચલાવે છે અને ભાઈ સંયમ મેક્સ હોસ્પિટલમાં ડૉક્ટર છે. જોકે, કોવિડ-19 મહામારી દરમિયાન થયેલા અનુભવોએ હર્ષિતના જીવનની દિશા બદલી નાખી.
હર્ષિત જૈને જણાવ્યું કે, ‘કોવિડના સમયમાં માનવતાનું પતન, પ્રિયજનોથી અલગ થવું, ભયની અસર અને મૃત્યુની વાસ્તવિકતાએ મને હચમચાવી નાખ્યો. એક ભાઈને દૂરથી બીજા બીમાર ભાઈને ખવડાવતા જોવું, મૃત્યુ પછી લોકોને ખભા આપવાથી દૂર જતા જોવું, આ બધાથી મને અહેસાસ થયો કે, ‘માણસો એકલા આવે છે… અને એકલા જશે.’ આ અનુભવ પછી 4 વર્ષ સુધી તેમના મનમાં વૈરાગ્ય પર ચિંતન ચાલ્યું. જૈન મુનિઓ સાથેનો લગાવ વધ્યા બાદ તેમણે દીક્ષા લેવાનો અને ધન-દૌલત છોડીને સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો.

હજારો ભક્તોની હાજરીમાં બાગપત જિલ્લાના દોઘટ અને બામનૌલીના જૈન મંદિરોમાં હર્ષિતનો તિલક સમારોહ યોજાયો. આ દરમિયાન બગ્ગીમાં બેસીને બેન્ડ-વાજા સાથે તેમની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. મંત્રોચ્ચારની સાથે તેમણે પોતાનો સામાન બાંધીને મુનિ જીવનની પ્રથમ યાત્રા શરૂ કરી. હર્ષિતના આ નિર્ણય પર તેમના પિતા સુરેશ જૈને ગર્વ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, ‘મારા પુત્રએ સત્યને નજીકથી જોયું છે અને કોવિડના અહેસાસે જ તેને ધર્મના રસ્તે લાવી દીધો છે. આ વાતનો અમને ગર્વ છે.’


