સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં તબીબો અને આસી. લો ઓફિસર સહિત અન્ય અધિકારીઓની બેદરકારીના કારણે સુરત પાલિકાને કોર્ટમાં લઈ જનારા એજન્સીને ડિબાર કરવાનો નિર્ણય પરત લેવાયા બાદ પાલિકાએ જવાબદાર અધિકારીઓ સામે કડકાઈ દાખવી છે. સ્મીમેર હોસ્પિટલના ડીને પાલિકાના આસી. લો ઓફિસરને નોટિસ આપી ખુલાસો મંગાયો છે.
સુરત પાલિકા સંચાલિક સ્મીમેર હોસ્પિટલમાં બે વર્ષ માટે સેનીટેશન કોન્ટ્રાક્ટની કામગીરીમાં બેદરકારી બદલ પાલિકાએ ખોટી એફિડેવીટ કરનારી એજન્સી ડી.જી.નોકરાણીને ડીબાર્ડ કરી દીધો હતો. પાલિકાના આ નિર્ણય સામે એજન્સીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા હાઈકોર્ટમાં કેસ ચાલ્યો તે દરમિયાન કોર્ટે ડિબાર નહીં કરવાનો આદેશ આપવા સાથે સાંભળવા માટે આદેશ કર્યો હતો. કોર્ટના આદેશ બાદ એજન્સીને ડિબાર કરવાનો નિર્ણય પરત લેવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલો કોર્ટમાં ચાલતો હતો ત્યારે સ્મીમેર હોસ્પિટલ તરફથી કોઈ કર્મચારી હાજર રહ્યા ન હતા જેથી ત્રીજા વખતના ટેન્ડરમાં એજન્સીએ ભાગ લીધો ન હતો તે વાત બહાર આવી ન હતી. સ્મીમેર હોસ્પિટલના આસી. લો ઓફિસર તરીકે ધનંજય રાણે ફરજ બજાવે છે અને મોટાભાગનો સમય સ્મીમેરમાં જ રહેતા હોય છે અને કાયદાકીય જવાબદારી તેમની હોય તેમ છતાં તેઓ હાજર ન રહ્યાં કે કોઈ ટેકનિકલ વિગતો રજુ ન કરી હોવાથી તેમની સામે અને અન્ય તબીબની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા હતા.
પાલિકાના આ આસી. ઓફિસર ધનંજય રાણે ભુતકાળમાં વિવાદમાં આવી ચુક્યા છે. ગત વર્ષે વરાછા ઝોનના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટમાં વિપક્ષના કોર્પોરેટરે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ પ્રકરણમાં રાણેની ઓફિસમાં બેઠક થઈ હતી તેથી તેમની સામે પણ આક્ષેપ થયા હતા. લાંચ કેસમાં શંકાસ્પદ ભૂમિકા હતી તેથી થોડા સમય માટે ભુગર્ભમાં ઉતરી ગયા હતા હવે ફરી એક વાર હાઈકોર્ટમાં પાલિકાના કેસમાં લાપરવાહી માટે ડીન દ્વારા નોટિસ આપી ખુલાસો મંગાયો છે.


