છેલ્લા એક મહિનામાં 2025 ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ફોર્મ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યના 33 માંથી મોટાભાગના જિલ્લાઓમાં 100 ટકા ફોર્મ વિતરણનું કામ પૂર્ણ થઈ ગયું છે, જે આ પ્રક્રિયાની ગતિ અને વ્યાપ દર્શાવે છે.
રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા દરમિયાન એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. સમગ્ર રાજ્યની હાલની મતદાર યાદીમાં 17 લાખથી વધુ એવા મતદારોના નામ હજી પણ સામેલ છે જેમનું અવસાન થઈ ગયું છે. આ ઉપરાંત, 6.14 લાખથી વધુ મતદારો તેમના નોંધાયેલા સરનામે મળી આવ્યા નથી અને 30 લાખથી વધુ મતદારો કાયમી ધોરણે અન્ય સ્થળે સ્થળાંતર કરી ગયા છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ની કચેરી દ્વારા મળેલી માહિતી અનુસાર, ગુજરાતમાં 4 નવેમ્બરના રોજ બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) દ્વારા એન્યુમરેશન ફોર્મનું વિતરણ શરૂ થયું હતું અને આ કામગીરી 11 ડિસેમ્બર સુધી ચાલશે. છેલ્લા એક મહિનામાં 2025 ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ફોર્મ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યના 33 માંથી મોટાભાગના જિલ્લાઓમાં 100 ટકા ફોર્મ વિતરણનું કામ પૂર્ણ થઈ ગયું છે, જે આ પ્રક્રિયાની ગતિ અને વ્યાપ દર્શાવે છે.
મતદારો દ્વારા ભરીને પરત કરાયેલા ફોર્મ્સને ડિજિટાઇઝ કરવાની કામગીરી હાલમાં પ્રગતિમાં છે. 182 વિધાનસભા બેઠકોમાંથી 12 બેઠકો પર ડિજિટાઇઝેશનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જોકે, રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, આ SIR પ્રક્રિયામાં ડાંગ જિલ્લો સૌથી આગળ ચાલી રહ્યો છે, જ્યાં પરત આવેલા ફોર્મ્સમાંથી 94.35 ટકાનું ડિજિટાઇઝેશન પૂર્ણ કરી દેવાયું છે. આ સઘન કામગીરી મતદાર યાદીને સ્વચ્છ અને ભૂલમુક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ છે.


