કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે એચ.ટી.સી. માર્કેટ સામે જનભાગીદારીથી નિર્મિત આંજણા ટેનામેન્ટના ૪૧૬ આવાસોનું લોકાર્પણ અને કોમ્પ્યુટરાઈઝડ ડ્રો કરાયો હતો.
સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ’શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫’ અંતર્ગત રાજ્ય સરકારની જાહેર આવાસોનો પુનઃવિકાસ (રિડેવલપમેન્ટ ઓફ પબ્લીક હાઉસીંગ) યોજના-૨૦૧૬ હેઠળ PPP(પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) ધોરણે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા ઘર લાભાર્થીઓને અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી ઘરનું ઘર મેળવનાર તમામ લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતા. તેમણે જણાવ્યું કે, દરેક દેશવાસીઓને પોતાનું ઘર આપવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં સુરત ઉત્તમ ભૂમિકા ભજવી રહ્યું છે. સુરતનો સ્લમ વિસ્તાર વર્ષ ૨૦૦૫માં ૨૦ ટકાથી ઘટી હાલ ૫ ટકા થયો છે. સ્લમ ડેવલોપમેન્ટમાં સુરત સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમે છે. અને સ્વચ્છતા તેમજ જળ સંચયની સાથે સ્લમ ડેવલોપમેન્ટમાં હજુ વૃદ્ધિ થશે એવી આશા વ્યક્ત કરી હતી.

વધુમાં મંત્રીએ સુરતમાં નવી અને આધુનિક ‘માય વન’ ટેકનોલોજી સાથે બનેલા આ ટેનમેન્ટની ખાસિયત જણાવતા કહ્યું કે, પહેલા કરતા વધુ મોટા આ મકાનો ગાર્ડન, પાર્કિંગ, લિફ્ટ, કેમેરા, ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર, સી.સી રોડ, ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફાયર ફાઇટિંગની સુવિધા તેમજ ધાબાના ૫૦ ટકા વિસ્તારમાં સોલાર પેનલ સાહિતની ઉત્તમ સુવિધાઓથી લાભાર્થીઓના જીવનની ગુણવત્તા સુધરશે. આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, નવા મકાનો મેળવીને આજે ૪૧૬ પરિવારોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.
વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક પરિવારોને સુવિધાઓ સજ્જ આધુનિક ઘર મળે તેવા સતત પ્રયત્ન કરાઈ રહ્યા છે. અને ભવિષ્યમાં પણ એ જ લક્ષ્યાંક સિદ્ધિ સાથે કામ કરવાની તત્પરતા દર્શાવી હતી. માવાણીએ શહેરીજનોને વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ તેમજ દૈનિક જીવનમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ડે. મેયર ડો. નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણિયાવાલા સહિત વિવિધ સમિતિના ચેરમેનો અને કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


