ભાવનગર જિલ્લામાં વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વિવિધ કારણોસર વાલીઓ દ્વારા એક શાળાની તાળું મારીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ સાથે વાલીઓ દ્વારા કરવામાં આવેલી માંગણીઓ સંતોષમાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ઢાંકણકુંડા ગામમાં વાલીઓ દ્વારા શાળાને તાળુ મારી દેવામાં આવ્યું હતું. શાળાને ગ્રામજનોએ દ્વારા તાળા મારી દેવામાં આવતા શિક્ષણ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગ્રામજનોએ આચાર્યની બદલી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે તેમણે ઢાંકણકુંડા પ્રાથમિક શાળાને તાળું મારીને વિરોધ નોંધાવ્યો હતો.

ગામલોકો દ્વારા શાળામાં શિક્ષકોની પૂરતી ભરતી કરવા માટેની માંગ પણ કરવામાં આવી છે. આ સાથે આચાર્યના ગેરવહીવટના કારણે ઘણા બાળકોએ શાળા છોડી હોવાનો આક્ષેપ પણ ગામલોકો દ્વારા લગાવવામાં આવ્યો છે. સિહોર તાલુકાના ઢાંકણકુંડા પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય અને અન્ય બાબતોને લઈ ગ્રામજનોનો ઉગ્ર વિરોધ સાથે શાળાને તાળા માર્યા હતા. ગ્રામજનો દ્વારા નોટિસ બનાવવામાં આવી છે, જેમાં મુખ્ય ત્રણ માંગ કરવામાં આવી છે.
સૌથી પહેલી માંગ શાળાના આચાર્યની બદલી કરવામાં આવે તેમજ એસ. ટાટ આચાર્યની નિમણૂક આપવામાં આવે અને ખૂટતા શિક્ષકોની પૂર્તિ કરવામાં આવે. આચાર્ય હીરૂબેન વાજા સામે ગ્રામજનો દ્વારા ફરિયાદ દર્શાવવામાં આવી છે, તેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓ સાથે આચાર્ય મહિલાનું મનસ્વી અને અયોગ્ય વર્તન છે. અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આચાર્યને ગુજરાતીમાં લખતા પણ તકલીફ પડે છે. શૈક્ષણિક યોગ્યતા સામે પણ પ્રશ્નો ઉભો કર્યો છે. જ્યારે અરજી કે ઠરાવ લખવાનો હોય ત્યારે બહારથી કોઈ વ્યક્તિ આવે છે, અને એ લખી આપે છે, તેઓ ગ્રામજનોનો આક્ષેપ છે. આચાર્યના ગેર વહીવટના કારણે અસંખ્ય બાળકોએ શાળા છોડી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.


