IPL-2026ની-2026ની સિઝન માટે થોડા જ દિવસોમાં ખેલાડીઓની હરાજી થવાની છે, ત્યારે મેચોના આયોજન સ્થળને લઈને ચર્ચા ચાલી રહી હતી કે શું રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને હોમ ગ્રાઉન્ડ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચો રમવા મળશે કે કેમ? આ અનિશ્ચિતતા વચ્ચે કર્ણાટક સરકારે મોટો નિર્ણય જાહેર કર્યો છે.
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે આજે (7 ડિસેમ્બર) કહ્યું છે કે, ‘અમે આઈપીએલને બીજી જગ્યાએ શિફ્ટ નહીં કરીએ અને તેને અહીં ચિન્નાસ્વામીમાં જ આયોજિત કરતા રહીશું. આ બેંગલુરુ અને કર્ણાટકનું અભિમાન છે, જેને અમે જાળવી રાખીશું.’ તેમણે આ જાહેરાત કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિયેશન (KSCA)ની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ કરી હતી.

ડી.કે.શિવકુમારનું આ નિવેદન ચિન્નાસ્વામી સ્ટેડિયમને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે આવ્યું છે. વાસ્તવમાં IPL-2025 સીઝનમાં RCB ચેમ્પિયન બન્યા બાદ ચોથી જૂને ટીમની વિજય પરેડ દરમિયાન સ્ટેડિયમની બહાર ભારે નાસભાગ મચી ગઈ હતી, જેમાં 11 ચાહકોના મૃત્યુ અને 50 જેટલા ઈજાગ્રસ્ત થયા હતા.
આ ગંભીર દુર્ઘટના બાદ KSCA અને RCB મેનેજમેન્ટ સામે કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. BCCIએ ઘટના બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોઈ મોટી મેચનું આયોજન કર્યું નથી, જેના કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી કે, RCB આવતા સિઝનમાં પુણેને હોમ વેન્યૂ તરીકે પસંદ કરી શકે છે. જોકે, કર્ણાટક સરકારે હવે આ વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે અંતિમ નિર્ણય BCCI આગામી થોડા અઠવાડિયામાં લેશે.


