વડોદરા શહેરના આકાશ અને જોલી રાઠોડ દંપતીએ ફરી એક વખત બાઈક દ્વારા ધાર્મિક યાત્રાની પરિક્રમા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. હરણી સ્થિત ભીડભજન હનુમાન મંદિરેથી 27 નવેમ્બરે શરૂ કરાયેલી આ યાત્રામાં દંપતીએ મહારાષ્ટ્રના ત્રણ અને મધ્યપ્રદેશના બે–મળી કુલ પાંચ જ્યોતિર્લિંગ તથા અંબાજી, શિરડી સહિતના અનેક પવિત્ર ધામોમાં દર્શન કરીને કુલ 2,500 કિલોમીટરની મુસાફરી પૂર્ણ કરી વડોદરા પરત ફર્યા છે.

આકાશ રાઠોડે જણાવ્યું કે, યાત્રા દરમિયાન બધું જ પ્લાન મુજબ ચાલે તે જરૂરી નથી, કારણ કે જીવનની ડોર ભગવાનના હાથમાં છે. મંદિર દર્શન થતાં જ મનની અડચણો દૂર થઈ વિશ્વાસ અને શક્તિ વધે છે, એમ તેમણે ઉમેર્યું. જોલી રાઠોડે ભાવુક સ્વરે કહ્યું કે, ભગવાનની આજ્ઞા વિના કોઈ ધામના દર્શન શક્ય નથી. અમદાવાદથી ઉજ્જૈન ફક્ત પાંચ કલાકનું અંતર હોવા છતાં બાઈક બગડતાં તેમને ત્રણ દિવસ લાગ્યા હતા. ઈશ્વર ભક્તની પરીક્ષા લે છે, પરંતુ અંતે તેનો ભક્તને કદી નિરાશ નથી કરતા, એમ તેમણે ભાવુકતાથી જણાવ્યું. દંપતીએ સમાજને સંદેશ આપ્યો કે આજના યુગમાં લોકોમાં ધાર્મિકતા અને ભક્તિ પ્રત્યે રુચિ વધવી જોઈએ. ગત મહિને પણ આ દંપતી 2,800 કિમી બાઈક યાત્રા કરીને કેદારનાથ દર્શનાર્થે ગયું હતું, જ્યારે તે પહેલાં આકાશે એકલા 22 હજાર કિમીનું અંતર કાપીને 12 જ્યોતિર્લિંગોની યાત્રા પૂર્ણ કરી ત્રણ મહિને ઘરે પરત ફર્યા હતા.


