બંગાળમાં બાબરી મસ્જિદના નામે ઉભી થયેલી નવી ચળવળે રાજ્યની રાજકીય ગરમાવો વધારી દીધો છે. બીજી તરફ, અયોધ્યાની ધન્નીપુર મસ્જિદનું નિર્માણ ભંડોળના અભાવે હજુ શરૂ પણ થઈ શક્યું નથી.
બંગાળમાં છેલ્લા કેટલાક સમયથી ધાર્મિક લાગણીઓ જોર પકડી રહી છે. TMCમાંથી કાઢી મુકાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરએ આ લાગણીઓને વધુ ઉશ્કેરતી એક નવી શરૂઆત કરી છે. મુર્શિદાબાદ જિલ્લામાં તેમણે બાબરી મસ્જિદના મોડેલ પર નવી મસ્જિદ બનાવવાનો પ્રોજેક્ટ જાહેર કર્યો અને 6 ડિસેમ્બરના રોજ રેજીનગરમાં તેની જમીનપૂજન પણ કરી દીધું.
તેમની આ જાહેરાત થયા બાદ બંગાળના અનેક વિસ્તારોમાં બાબરીના નામે દાનનો વરસાદ વરસવા માંડ્યો. સોશિયલ મીડિયા થી લઈને શેરીઓ સુધી, પોસ્ટર, બેનર અને દાનની અપીલો સતત દેખાઈ રહી છે. હુમાયુ કબીરના સાથીઓનો દાવો છે કે માત્ર ત્રણ જ દિવસમાં લગભગ 3 કરોડ રૂપિયા એકત્રિત થઈ ચૂક્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે બાબરીના નામે બંગાળમાં મોટી રકમનો સંગ્રહ થઈ રહ્યો છે. આ જ ચર્ચાઓ વચ્ચે અયોધ્યાની ધન્નીપુરમાં બનવાની મસ્જિદનું મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે કારણ કે ત્યાંનું કામ આજના સમયમાં પણ અટકી પડ્યું છે.

ધન્નીપુર, જે અયોધ્યાથી લગભગ 25 કિમી દૂર છે, ત્યાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે ઇન્ડો–ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટની રચના કરી હતી. ટ્રસ્ટના અધ્યક્ષ ઝફર અહેમદ ફારૂકી અનુસાર મસ્જિદ સાથે હોસ્પિટલ અને સ્કૂલ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવા માટે લગભગ 65 કરોડ રૂપિયાની જરૂર છે. પરંતુ હાલ ટ્રસ્ટ પાસે પૂરતું ભંડોળ નથી, એટલા કારણે પાયાનું કામ અત્યારે સુધી શરૂ થઈ શક્યું નથી. ટ્રસ્ટે નવો નકશો તૈયાર કર્યો છે અને ટૂંક સમયમાં મંજૂરી માટે સબમિટ કરશે. મંજૂરી મળતાં જ કામ શરૂ થવાની શક્યતા છે, પરંતુ દાન હજુ સુધી અત્યંત ઓછું આવ્યું હોવાનું તેઓ કહે છે. કેટલાક પૈસા મળ્યા છે, પણ મોટા ભાગનું ભંડોળ સરકારના વિભાગો આપશે એવી તેમની અપેક્ષા છે.
આ સમગ્ર પ્રક્રિયાનું મૂળ કારણ સુપ્રીમ કોર્ટનો 2019નો ચુકાદો છે. કોર્ટે અયોધ્યા વિવાદનો અંત લાવતા સમગ્ર જમીન રામ લલ્લાના હિતમાં આપી અને મસ્જિદ માટે 5 એકર વૈકલ્પિક જમીન ફાળવવાનો આદેશ આપ્યો હતો. 2020માં સરકારે આ જમીન ધન્નીપુર ગામમાં ફાળવી પણ દીધી. તેમ છતાં, અંતર વધારે હોવું, ટ્રસ્ટની અંદર મતભેદ, નકશો રદ થવો અને ભંડોળની તંગી—આ તમામ કારણોસર મસ્જિદનું કામ અટકી રહ્યું છે.
બીજી તરફ, ધારાસભ્ય હુમાયુ કબીરે 6 ડિસેમ્બરના રોજ જિલ્લાના રેજીનગરમાં મસ્જિદનો શિલાન્યાસ કર્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે માત્ર ત્રણ દિવસમાં ₹3 કરોડ (આશરે $30 મિલિયન) નું દાન પ્રાપ્ત થયું છે. શિલાન્યાસ સમારોહ પછી, કબીર પર સાંપ્રદાયિક તણાવ ઉશ્કેરવાનો અને બાબરી મસ્જિદ મુદ્દાનું રાજકારણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જો કે, તેમનો દાવો છે કે, થોડા અપવાદ સિવાય, દેશના બધા મુસ્લિમો તેમની સાથે છે.


