ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના 14 વર્ષ જૂના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે (CBI કોર્ટ) મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી ત્રણ-ત્રણ વર્ષની સાદી કેદ અને પ્રત્યેકને 30-30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
શું હતો સમગ્ર મામલો?
આ ઘટના વર્ષ 2011ની છે. આરોપીઓએ ONGCને માલસામાન પૂરો પાડવા માટેના કોન્ટ્રાક્ટમાં ગોલમાલ કરી હતી. પરચેઝ ઓર્ડર મુજબ નિયત સમયમર્યાદામાં માલ ONGCમાં પહોંચાડ્યો ન હોવા છતાં, આરોપીઓએ બેંકમાં માલ ડિસ્પેચ કર્યાના ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ બોગસ દસ્તાવેજોના આધારે તેમણે છેતરપિંડી આચરીને રૂ. 67,58,938ની રકમ ખોટી રીતે મેળવી લીધી હતી.

આ કૌભાંડ અંગે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ 22 જૂન 2011ના રોજ મેસર્સ નેશનલ મશીન ટૂલ્સના પ્રોપ્રાઈટર અને અન્ય વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તપાસમાં ખૂલ્યું હતું કે 29 એપ્રિલ 2011ના રોજ માલની ખોટી ડિસ્પેચ બતાવવામાં આવી હતી. CBIએ ઝીણવટભરી તપાસ બાદ 27 ડિસેમ્બર 2011ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી.
કોર્ટે અતુલ નારણભાઈ પંચાલ, મહેન્દ્રસિંહ પી. વાઘેલા અને ઘનશ્યામ રામબ્રિચ પાંડે નામના ત્રણ આરોપીઓને ગુનેગાર ઠેરવ્યા છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય એક આરોપી અને મેસર્સ ડેટ નોર્સ્કે વેરિટાસના સર્વેયર ભાવિન પટેલ હજુ પણ નાસતા ફરતા હોવાનું સામે આવ્યું છે.
ચુકાદો આપતી વખતે કોર્ટે ટાંક્યું હતું કે, આરોપીઓ દ્વારા આચરવામાં આવેલા ગુનાના સંજોગો જોતાં તેમને પ્રોબેશનનો લાભ આપવો વ્યાજબી અને ન્યાયી જણાતું નથી. આથી કોર્ટે ત્રણેયને જેલની સજા અને દંડનો હુકમ કર્યો છે.


