અયોધ્યા-પ્રયાગરાજ હાઈવે પર આજે (11 ડિસેમ્બર) બોલેરો અને ટ્રેક્ટર-ટ્રોલીનો સામસામે ભયાનક અકસ્માત થયો છે. ઘટનામાં ત્રણ શ્રદ્ધાળુઓના દર્દનાક મોત થયા છે, જ્યારે 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકો મધ્યપ્રદેશના રીવાના રહેવાસી અને તેઓ અયોધ્યા દર્શન માટે જઈ રહ્યા હોવાની વિગતો સામે આવી છે. ઘટનાની માહિતી મળતા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, અયોધ્યા-પ્રયાગરાજ હાઈવે પર કલ્યાણ ભદરસા ગામ સામે લિટિલ ફ્લાવર શાળા પાસે પૂરઝડપે દોડી રહેલી બોલેરો ટ્રેક્ટર-ટ્રોલી સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, બોલેરોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. બોલેરોમાં સવાર 11 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા છે.

તમામ પીડિતોને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ ડોક્ટરોએ ત્રણ લોકોને મૃત જાહેર કર્યા છે. જ્યારે ઈજાગ્રસ્ત આઠ લોકોની સારવાર ચાલી રહી છે. પોલીસે બંને વાહનો જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે અયોધ્યાના અધિકારીઓને ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવાના નિર્દેશ આપ્યો છે.


