ભારતીય મહિલા સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાના લગ્ન તૂટયા પછી આજે (10 ડિસેમ્બર) પહેલી વખત સાર્વજનિક સ્થળે દેખાઈ હતી. લગ્ન અને પરિવારના સ્વાસ્થ્ય સંકટ વચ્ચે તે ટીમ ઈન્ડિયાના કેપ્ટન હરમનપ્રીત કૌરને મળી હતી અને ઉષ્માભપૂર્વક ગળે લગાવી સ્વાગત કર્યું હતું.
સ્મૃતિ અને હરમનપ્રીત કૌર રાજધાની દિલ્હીમાં એમેઝોન ‘સંભવ સમિટ’માં ભાગ લેવા માટે પહોંચ્યા છે. જેનું ભારત મંડપમમાં આયોજન થઈ રહ્યું છે. સ્મૃતિ મંધાનાએ 7 ડિસેમ્બરે સત્તાવાર રીતે લગ્ન રદ્દ કરવાની ઘોષણા કરતાં કહ્યું હતું કે તે હવે સંબંધથી પીછેહઠ કરીને પૂરેપૂરું ધ્યાન ક્રિકેટ પર આપશે. ભારત માટે ટ્રોફીઓ જીતવા પર ફોકસ કરશે.
લગ્ન રદ્દ કર્યા બાદ બીજા દિવસે સ્મૃતિના ભાઈ શ્રવણે ટ્રેનિંગથી પરત ફરતી તસવીર શેર કરી હતી. મંગળવાર 9 ડિસેમ્બરના રોજ સ્મૃતિને શ્રીલંકા સામે 21 ડિસેમ્બરથી શરૂ થનાર ટી20 મેચ માટે ભારતીય મહિલા ટીમમાં સામેલ કરવામાં આવી હતી. આ મુકાબલો વિશાખાપટ્ટનમમાં રમાશે

7 ડિસેમ્બરના રોજ સ્મૃતિએ લગ્ન રદ્દ કરવાનો નિર્ણય કરતાં કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક સમયથી મારા જીવન વિશે ઘણી અટકળો ચાલી રહી છે જેથી મને લાગે છે હવે મારે બોલવું પડશે. મારે સ્પષ્ટતા કરવી છે કે લગ્ન રદ કરવામાં આવ્યા છે. હું આ ચેપ્ટર અહીં જ બંધ કરવા માંગુ છું અને તમને પણ આવું કરવા જ વિનંતી છે. કૃપા બંને પરિવારની પ્રાઈવસીનું સન્માન કરો અને અમને આમાંથી બહાર આવવાનો સમય આપો.’
ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પલાશ મુચ્છલે પોતાની ભાવના વ્યક્ત કરતા લખ્યું હતું કે, ‘મેં મારી જિંદગીમાં આગળ વધવા અને ખાનગી સંબંધથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. મારા માટે એ જોવું ખૂબ અઘરૂ છે કે, જે વસ્તુ મારા માટે સૌથી પવિત્ર બાબત છે. તેના વિશે લોકો પાયાવિહોણી અફવાઓ પર આટલી સરળતાથી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ મારા જીવનનો સૌથી કઠિન સમય છે અને હું મારા વિશ્વાસ પર અડગ રહીને તેનો સામનો કરીશ. હું ખરેખર આશા રાખું છું કે, આપણે એક સમાજના રૂપે કોઈ વિશે પુષ્ટિ કર્યા વિના અફવાઓના આધારે મંતવ્ય બાંધતા પહેલાં થોડું થોભતા શીખીશું.’
પલાશે વધુમાં કહ્યું કે, ‘મારી ટીમ ખોટી અને અપમાનજનક સામગ્રી ફેલાવનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરશે. આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભા રહેનારા તમામ લોકોને આભાર.’
નોંધનીય છે કે, પલાશ મુચ્છલ અને સ્મૃતિ મંધાના 23 નવેમ્બર, 2025ના દિવસે લગ્ન કરવાના હતા. પરંતુ લગ્નના દિવસે જ મંધાનાના પિતાની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ ઉતાવળમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. એટલું જ નહીં આ દરમિયાન લગ્નની તારીખ પણ થોડા સમય માટે ટાળી દેવાઈ હતી. હવે આશરે 15 દિવસ એટલે કે, 7 ડિસેમ્બરે પલાશે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શરે કરીને લગ્ન કેન્સલ કરી દીધા હતા.


